સારવાર માટે ફરીવાર અમેરિકા જશે ગોવાના સીએમ મનોહર પાર્રિકર

ગોવા- ગોવાના મુખ્યપ્રધાન અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન મનોહર પાર્રિકર સારવાર માટે ફરીવાર અમેરિકા જશે. હાલમાં જ તેઓ અમેરિકાથી સારવાર લઈને પરત ફર્યા હતા, પરંતુ થોડા દિવસો પહેલાં તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ડોક્ટર્સે તેમને સારવાર માટે અમેરિકા પાછા જવાની સલાહ આપી છે.મળતી માહિતી મુજબ મનોહર પાર્રિકર જલદી જ લગભગ એક મહિના માટે અમેરિકા સારવાર માટે જશે. ગોવા સરકારના પ્રધાને મુખ્યપ્રધાન મનોહર પાર્રિકરના અમેરિકા સારવાર લેવા જવાની વાતને સમર્થન આપ્યું છે.

તેમણે જણાવ્યું કે, ગત 22 ઓગસ્ટે અમેરિકાથી પરત આવ્યા બાદ મનોહર પાર્રિકરને ઉલટીની ફરિયાદ થઈ હતી. ત્યારબાદ તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે, મનોહર પાર્રિકર સ્વાદુપિંડના કેન્સરથી પીડાઈ રહ્યાં છે. જેથી તેઓ સારવાર લેવા આશરે ત્રણ મહિના માટે અમેરિકા ગયા હતાં. એ પહેલાં મનોહર પાર્રિકરને આ વર્ષે 15 ફેબ્રુઆરીના રોજ સારવાર માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને સ્વાદુપિંડની બિમારી માટે સારવાર આપવામાં આવી હતી. અને 22 ફેબ્રુઆરીના રોજ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.