શિયાળુ સત્ર પહેલા લોકસભા અધ્યક્ષે બોલાવી સર્વદળીય બેઠક

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરુ થવા જઈ રહ્યું છે. શિયાળુ સત્રને વ્યવસ્થિત રીતે ચલાવવા અને કેટલાક મહત્વના મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવા માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ 16 નવેમ્બરે સર્વદળીય બેઠક બોલાવી છે. જેમાં જૂદા જૂદા પક્ષોના નેતાઓ હાજર રહેશે. તો કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ 17 નવેમ્બરે સર્વદળીય બેઠક બોલાવી છે.

આ ઉપરાંત રાજ્યસભા સચિવાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઉપલા સદનના 250માં સત્ર આગામી સોમવારે એટલે કે, 18 નવેમ્બરે શરુ થતાં પહેલા રવિવારે સાંજે વૈકેયા નાયડુ તમામ પક્ષોના નેતાઓ સાથે ઉપરાષ્ટ્રપતિ નિવાસ સ્થાને બેઠક કરશે. આ સત્રને ઐતિહાસિક ગણાવતા તેમણે કહ્યું કે, બેઠકમાં સત્ર દરમ્યાન 26 નવેમ્બરે આવતા 70મો બંધારણ દિવસ અને મહાત્મા ગાંધીની 150મી જયંતીના આયોજનની રૂપરેખા પર પણ વિચાર કરવામાં આવશે.

18 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ચાલશે શિયાળુ સત્ર

આ વખતે સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી 13 ડિસમ્બર સુધી ચાલશે. શિયાળુ સત્ર પહેલાની બેઠકને મહત્વપૂર્ણ ગણાવતા અધિકારીએ કહ્યું કે, આ બેઠકમાં આગામી સત્રને ગયા સત્રની જેમ જ કામકાજની દ્રષ્ટીએ કારગર બનાવવાની કાર્ય યોજના નક્કી કરવામાં આવશે. મહત્વનું છે કે, શિયાળુ સત્રમાં અર્થવ્યવસ્થામાં મંદી, મહારાષ્ટ્ર ઘટનાક્રમ અને જમ્મુ કશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો ખત્મ કરવા અને ખેડૂતોના મુદ્દે વિપક્ષી દળોના કડક તેવર જોતા આગામી શિયાળુ સત્ર હંગામેદાર હોવાની સંભાવના છે જેથી આને સુચારુ રીતે ચલાવવું સરકાર માટે પડકાર હશે.