રાંચી– ચારા કૌભાંડના ચાઈબાસા કોષાગાર ગબન મામલામાં રાજદના પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવને વધુ 5 વર્ષની જેલની સજા થઈ છે. સીબીઆઈની સ્પેશ્યિલ કોર્ટે બુધવારે સજાની જાહેરાત કરી હતી. લાલુ પ્રસાદ યાદવને 10 લાખનો દંડ પણ ફટકાર્યો છે. ચારા ગોટાળાનો આ ત્રીજો કેસ હતો. આ પહેલા અન્ય બે કેસની સજા થઈ ચુકી છે. લાલુ પ્રસાદ યાદવ ઉપરાંત બિહારના પૂર્વ મુખ્યપ્રધાન જગન્નાથ મિશ્રાને પણ પાંચ વર્ષની સજા થઈ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ચારા ગોટાળામાં દેવધર કોષાગાર સાથે સંકળાયેલા એક મામલામાં સાડા ત્રણ વર્ષની સજા મેળવ્યા પછી રાંચીના બિરસા મુંડા જેલમાં તેમને બંધ કરવામાં આવ્યા છે. સુનાવણી દરમિયાન અન્ય આરોપી જગન્નાથ મિશ્રા અને તેમની પત્નીની અવસાનને કારણે આવી શક્યા ન હતા. લાલુ યાદવને દોષી જાહેર કર્યા પછી રાજદ નેતા રઘુવંશ પ્રસાદે કહ્યું છે કે આ મામલામાં કાનુની લડાઈ ચાલુ રાખીશું.
બિહારના ઉપપ્રમુખ્યપ્રધાન સુશીલ મોદીએ લાલુને દોષી જાહેર કર્યા પછી કહ્યું હતું કે તેમણે રાજ્યને લૂંટ્યું છે, તે તેની સજા છે. હજી તો માત્ર ત્રણ કેસમાં સજા મળી છે. હજી બે કેસ બાકી છે.
બિહારના પૂર્વ ઉપમુખ્યપ્રધાન તેજસ્વી યાદવે કહ્યું છે કે બિહારની જનતા લાલુજીને પોતાનો હીરો માને છે. જનતા માટે લાલુ આરોપી નથી, અમે આ મામલાને આગળ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જઈશું. નિતીશકુમાર પર હૂમલો કરતાં તેજસ્વી યાદવે કહ્યું હતું કે લાલુને ફસાવવાની ચાલ છે. નિતીશની કેબિનેટમાં કેટલાય લોકો દાગી છે. નિતીશકુમાર વારંવાર દિલ્હી એટલા માટે જઈ રહ્યા છે કે તેઓ લાલુને ફસાવી શકે. તેમણે એમ પણ કહ્યું હતું કે નિતીશકુમાર 2018માં જ ચૂંટણી કરાવવા માંગે છે.