ગુજરાતના 2 સહિત 50 શ્રમિકોને શ્રમ પુરસ્કાર એનાયત કરાશે

નવી દિલ્હી– કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016 માટે પ્રધાનમંત્રી શ્રમ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કાર વિભાગીય ઉપક્રમો, કેન્દ્ર અને રાજ્ય સરકારોના સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમો તથા ખાનગી ક્ષેત્રના એકમોમાં કાર્યરત 50 શ્રમિકોને અર્પણ કરાશે. આ પુરસ્કાર માટે એવા ઉપક્રમોની પસંદગી કરાય છે, જેમાં 500 અથવા તેનાથી વધુ શ્રમિકો કાર્યરત હોય. જો કે આ વર્ષે અર્પણ કરાનારા શ્રમ પુરસ્કારોની કુલ સંખ્યા 32 છે, પરંતુ 3 મહિલાઓ સહિત 50 શ્રમિક આ પુરસ્કાર પ્રાપ્ત કરશે. આમાં સાર્વજનિક ક્ષેત્રના 34 શ્રમિકો અને ખાનગી ક્ષેત્રના 16 શ્રમિકો સામેલ છે.

ફાઈલ તસવીર

શ્રમ પુરસ્કાર ચાર શ્રેણીમાં અર્પણ કરાય છે. જેમાં ‘શ્રમ રત્ન પુરસ્કાર’, ‘શ્રમ ભૂષણ પુરસ્કાર’, ‘શ્રમ વીર/શ્રમ વીરાંગના’ અને ‘શ્રમ શ્રી/શ્રમદેવી પુરસ્કાર’નો સમાવેશ છે. આ વર્ષે પ્રતિષ્ઠિત શ્રમ રત્ન પુરસ્કાર માટે કોઈપણ નામાંકન પ્રાપ્ત થયું નથી. સેલ/ભેલ અને ટાટા સ્ટીલ લિમિટેડના 12 શ્રમિકોને શ્રમ ભૂષણ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે, જે અંતર્ગત 1,00,000 રૂપિયા રોકડ પુરસ્કાર અને એક પદવી અપાય છે. નેવલ ડોકયાર્ડ, ઓર્ડિનન્સ ફેક્ટરી, રાષ્ટ્રીય ઈસ્પાત નિગમ, ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો ઈન્ડસ્ટ્રીઝ, પારાદીપ ફોસ્ફેટ લિમિટેડ, બ્રહ્મોસ એર સ્પેસના 18 શ્રમિકો શ્રમ વીર/શ્રમ વીરાંગના પુરસ્કારના રૂપમાં 60 હજાર રૂપિયા રોકડ અને એક પદવી પ્રાપ્ત કરશે.

સિમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, નેવલ શિપ રિપેયર યાર્ડ, ટાટા મોટર, સૂરત લિગ્નાઇટ પાવર પ્લાન્ટ, લાર્સન એન્ડ ટ્રુબ્રો લિમિટેડ વગેરેના 20 શ્રમિકોને શ્રમ શ્રી/શ્રમ દેવી પુરસ્કારના રૂપમાં 40,000 રૂપિયા રોકડ અને એક પદવી અર્પણ કરાશે.

શ્રમ અને રોજગાર મંત્રાલય દર વર્ષે પ્રધાનમંત્રી શ્રમ પુરસ્કારની જાહેરાત કરે છે. આ પુરસ્કાર 500 અથવા તેનાથી વધુ સંખ્યાવાળા સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમો, કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગીય ઉપક્રમો તથા ખાનગી ક્ષેત્રના એકમોમાંથી શ્રમિકોની પસંદગી કરીને તેમના અસાધારણ કાર્યો, નવીનીકરણ ક્ષમતા, ઉત્પાદન ક્ષેત્રમાં તેમનું ઉલ્લેખનીય યોગદાન અને શ્રેષ્ઠ સાહસ બતાવવા તથા સચેત રહેવા માટે અપાય છે.

શ્રમ શ્રી પુરસ્કાર મેળવનાર ગુજરાતી

1. જીતેન્દ્રકુમાર શાંતિલાલ પટેલ, સૂરત લિગ્નાઇટ પાવર પ્લાન્ટ
2. અરવિંદ ચૂનીભાઈ પટેલ, L & T , હજીરા