દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું ‘હલ્લાબોલ’, રેલીમાં પોલીસ સાથે ઘર્ષણ

નવી દિલ્હી- હરિદ્વારથી દિલ્હી રવાના થયેલી કિસાન ક્રાંતિ યાત્રાને દિલ્હીની ગાઝીપુર સરહદે રોકવામાં આવી હતી. પોલીસ દળોએ ખેડૂતોને અટકાવવા વોટર કેનનનો પ્રયોગ કર્યો હતો. જોકે ખેડૂતો તેમની માગણીઓ સાથે મક્કમ જણાયા હતા.ખેડૂતો તેમનું પ્રદર્શન લઈને રાજઘાટ જશે જ્યાંથી તેઓ સંસદ તરફ કૂચ કરશે. ખેડૂતોની મુખ્ય નવ માગણીઓ છે. જેમાં સંપૂર્ણ લોન માફી અને વિજળીના ભાવ ઘટાડવા મુખ્ય માગણીઓ છે. મળતી માહિતી મુજબ ખેડૂતોની રેલીને અટકાવવા પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે, ભારતીય કિસાન યૂનિયનના બેનર હેઠળ શરુ થયેલી આ યાત્રા ગત 23 તારીખે હરિદ્વારથી રવાના થઈ હતી. જેનું લક્ષ્ય આજે 2 ઓક્ટોબરના રોજ દિલ્હી પહોંચીને સરકાર સમક્ષ પોતાની માગણીઓ રજૂ કરવાનું હતું.

દિલ્હી સરહદે કિસાન યાત્રાને અટકાવવા પર ભારતીય કિસાન યૂનિયનના અયક્ષ નરેશ ટિકૈતે જણ્વાયું કે, ‘અમને દિલ્હીમાં પ્રવેશ કરવાથી કેમ અટકાવવામાં આવી રહ્યાં છે? ખેડૂતોની રેલી શાંતિથી આગળ વધી રહી છે. જો અમે અમારી સમસ્યા સરકારને નહીં જણાવીએ તો કોને જણાવશું? શું અમે બાંગ્લાદેશ અથવા પાકિસ્તાન જઈએ’.