અધિકારો માટે પદયાત્રા: હજારો ખેડૂતોની દિલ્હી તરફ આગેકૂચ, તંત્ર એલર્ટ

નવી દિલ્હી- ભારતીય કિસાન સંગઠનના હજારો સભ્યો પોતાની વિવિધ માંગણીઓને લઈને દિલ્હી તરફ આગેકૂચ કરી છે. કિસાન સંગઠનની આ પદયાત્રા આજે સવારે આઠ વાગ્યે નોઈડાથી દિલ્હી તરફ જવા રવાના થઈ. સંગઠનના નેતાનું કહેવું છે કે, તેમની માંગણી માત્ર પોતાના અધિકારોની છે. ખેડૂત પદયાત્રાને ધ્યાનમાં રાખતા નોઈડાનું પ્રશાસન સતર્ક છે. પદયાત્રાને કારણે આજે દિલ્હીવાસીઓને ટ્રાફિક જામનો સામનો કરવો પડી શકે છે.

ભારતીય કિસાન સંગઠનની આ પદયાત્રા 11 સપ્ટેમ્બરના રોજ સહારનપુરથી શરૂ થઈ હતી જે ગુરુવારે સાંજે નોઈડા (Noida) પહોંચી હતી. યુપી બોર્ડર પર ભારે સંખ્યામાં ફોર્સ તૈના કરવામાં આવી છે.

નોઈડાના સેક્ટર 69થી ખેડૂતોની આ માર્ચ દિલ્હીના કિસાન ઘાટ તરફ કૂચ કરી રહી છે. ખેડૂતોની આ માર્ચને જોતા દિલ્હી પોલીસે સુરક્ષાના કડક બંદોબસ્ત કર્યો છે. ખેડૂતોના નેતા પૂરન સિંહે જણાવ્યું કે કૃષિ મંત્રાલયની સાથે ખેડૂતોની વાર્તા નિષ્ફળ ગયા બાદ દિલ્હી તરફ કૂચ કર્યા સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. અમે ઈચ્છીએ છીએ કે અમારી માગણીઓ તરફ દેશનું ધ્યાન જાય.

ખેડૂત નેતા રાજેન્દ્ર યાદવે કહ્યું કે અમે અમારી માગણીઓ લેખિત સ્વરૂપમાં સરકારને આપી દીધી હતી. પરંતુ સરકાર શા માટે આ માગણીઓ પર વિચાર નથી કરતી. અમે 11 દિવસ પહેલા અમારી પદયાત્રા શરૂ કરી હતી. જે હવે દિલ્હી તરફ આગળ વધશે.

ખેડૂતોનું એમ પણ કહેવું છે કે જો તેમની માગણીઓ ન સાંભળવામાં આવી તો તેઓ ભૂખ હડતાળ પણ કરી શકે છે.