કેજરીવાલની “રાજહઠ”, દિલ્હી માટે કરશે અનિશ્ચિતકાલીન ઉપવાસ….

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે એકવાર ફરીથી અનશન કરવા જઈ રહ્યા છે. દિલ્હી વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે કહ્યું કે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે એક માર્ચથી હું અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર બેસવા જઈ રહ્યો છું.

કેજરીવાલે કહ્યું કે એક માર્ચથી અમે દિલ્હીમાં આંદોલન શરુ કરીશું અને આ આંદોલન ત્યાં સુધી ખતમ નહી કરવામાં આવે જ્યાં સુધી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો નહી આપવામાં આવે. તેમણે જણાવ્યું દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે આખા દિલ્હીમાં આંદોલન શરુ કરવાની જરુરત છે.

દિલ્હી વિધાનસભાથી બહાર આવીને મીડિયા સાથે વાત કરતા કેજરીવાલે પોતાની યોજનાને રીપીટ કરતા કહ્યું કે આખા દેશમાં લોકતંત્ર લાગુ કરવામાં આવ્યું પરંતુ દિલ્હીમાં નહીં. જનતાના વોટથી અહીંયા સરકાર ચૂંટાય છે પરંતુ તેમને અધિકાર નથી હોતાં. એટલા માટે અમે એક માર્ચથી આંદોલન શરુ કરવા જઈ રહ્યાં છે અને હું દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર બેસીશ.

આ પહેલાં ઉત્તર દિલ્હીના આઝાદપુરમાં લોકોને સંબોધિત કરતાં કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીને વિશેષ રાજ્યનો દરજ્જો આપ્યાં બાદ દસ વર્ષમાં હું તમામ દિલ્હીવાસીઓને રહેવા માટે પાકું ઘર આપીશ.