કર્ણાટક: કોંગ્રેસના અસંતુષ્ટ ધારાસભ્યો ભાજપ સાથે ‘હાથ’ મિલાવી શકે છે

બેંગાલુરુ- કર્ણાટકમાં કેબિનેટના વિસ્તરણ બાદ કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલો આંતરિક મતભેદ સપાટી પર આવી રહ્યો છે. પક્ષના જે ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન નથી મળ્યું તેમણે કર્ણાટક કોંગ્રેસના પ્રભારી કે.સી. વેણુગોપાલ અને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન જી. પરમેશ્વર સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સૂત્રોનું માનીએ તો આમાંથી કેટલાંક અસંતુષ્ટ ધારાસભ્યો ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં છે અને કેટલાક તો કોંગ્રેસ છોડવાનું પણ મન બનાવી ચુક્યા છે.કોંગ્રેસના ધારાસભ્ય એચ.એમ. રેવન્નાએ તો સ્પષ્ટપણે કહ્યું છે કે, તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સંપર્કમાં છે અને તેઓ ભાજપમાં જોડાઈ શકે છે. ભાજપ તરફથી પણ આ બાબતે સંમતી આપવામાં આવી છે. અસંતુષ્ટ ધારાસભ્યોનું કહેવું છે કે, કે.સી. વેણુગોપાલ અને નાયબ મુખ્યપ્રધાન જી. પરમેશ્વરે તેમની ભૂમિકા યોગ્ય રીતે નિભાવી નથી. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં કેબિનેટના વિસ્તરણની સાથે જ પ્રધાન પદ મેળવવાની રાહ જોઈ રહેલા નેતાઓ અને તેમના સમર્થકો કોંગ્રેસ વિરુદ્ધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.