જમ્મુ-કશ્મીર: કુપવાડા સેક્ટરમાં સેનાએ એક આતંકી ઠાર માર્યો

શ્રીનગર- રમજાન પુરો થયા બાદ જમ્મુ-કશ્મીરમાં સેનાનું ઓપરેશન સતત ચાલી રહ્યું છે. આજે વધુ એકવાર સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ ઓપરેશનમાં ભારતીય સેનાએ એક આતંકીને ઠાર માર્યો હતો. આ સર્ચ ઓપરેશન કુપવાડામાં કરવામાં આવ્યું હતું. જે સવારે 5:30 કલાકથી ચાલી રહ્યું હતું.આ પહેલા આતંકવાદીઓએ શોપિયા વિસ્તારમાં સેનાની પેટ્રોલિંગ ટીમ ઉપર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેમાં સેનાનો એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

આપને જણાવી દઈએ કે, અમરનાથ યાત્રાને કારણે જમ્મુ-કશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણપણે સતર્ક છે. ઈન્ટેલિજન્સની માહિતી મુજબ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા પવિત્ર ગુફા તરફ જનારા માર્ગમાં આવતા પિસ્સૂ ટૉપ અને શેષનાગ વિસ્તારમાં હુમલા કરવા માટે રાહ જોઈ રહ્યા છે. આ બન્ને વિસ્તાર વ્યૂહાત્મક રીતે ઘણાં સંવેદનશીલ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને એજન્સીઓએ અનેક તૈયારી કરી છે. જેથી કોઈ પણ સંજોગોમાં સ્થિતિ પર કાબૂ મેળવી શકાય.