શહીદના પુત્રએ કહ્યું, ‘સેનામાં જોડાઈશ અને પિતાની મોતનો બદલો લઈશ’

નવી દિલ્હી- જમ્મુ કશ્મીરમાં રવિવારે આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા ભારતીય જવાન નિલેશ સિંહના તેના પૈતૃક ગામમાં રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દરમિયાન આખું ગામ શોકમગ્ન જોવા મળ્યું. શહીદ નિલેશ સિંહના 10 વર્ષના પુત્ર અંશે અત્યારથી જ પોતાના પિતાની મોતનો બદલો લેવાનો નિર્ણય કર્યો છે. દેશના દુશ્મનોને પડકાર આપતા શહીદના પુત્રએ કહ્યું કે, તે મોટો થઈને સેનામાં જોડાશે અને પાકિસ્તાનના 100 સૈનિકો મારીને પોતાના પિતાની શહાદતનો બદલો લેશે.આપને જણાવી દઈએ કે, નિલેશ સિંહ જમ્મુ-કશ્મીરના શોપિયામાં ફરજ ઉપર તહેનાત હતા. દરમિયાન રવિવારે આતંકીઓ સાથે થયેલી અથડામણમાં તેઓ શહીદ થયા હતાં. પુત્ર ગુમાવતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. જોકે પરિવારે હિંમત હારી ન હતી. પિતાના મૃત્યુનો બદલો લેવાની ભાવના શહીદ નિલેશ સિંહના 10 વર્ષના પુત્રમાં જોવા મળી છે. અંશે નિડરતાથી કહ્યું કે, તે મોટો થઈને સેનામાં જોડાશે અને તેના પિતાની મોતનો બદલો લેશે.

અંશની વાત સાંભળીને ત્યાં હાજર સૌ કોઈની આંખો છલકાઈ ગઈ હતી. બીજી તરફ શહીદ નિલેશના પિતાએ તેના બીજા દીકરા મુકેશને પણ સેનામાં જોડાવા સરકાર પાસે માગ કરી છે. આપને જણાવી દઈએ કે, જાન્યુઆરી મહિનામાં નિલેશ સિંહની નિયુક્તિ જમ્મુ-કશ્મીરમાં કરવામાં આવી હતી.