સરહદે પાકિસ્તાન દ્વારા ગોળીબાર, રક્ષાપ્રધાને કહ્યું કશ્મીરમાં યુદ્ધવિરામ યથાવત રહેશે

શ્રીનગર- કશ્મીર ખીણ પ્રદેશમાં રમઝાન માસ દરમિયાન ભારત સરકારે કરેલા યુદ્ધવિરામના નિર્ણય બાદ પાકિસ્તાને સરહદ પર તેની ‘નાપાક’ હરકતો વધારી દીધી છે. પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ભારતીય સરહદમાં ફાયરિંગ કરી રહ્યું છે. અને મોર્ટારનો મારો ચલાવી રહ્યું છે. પાકિસ્તાન ભારતની ચોકીઓને ટાર્ગેટ કરીને ફાયરિંગ કરી રહ્યું છે તેમ છતાં ભારત સરકાર યુદ્ધવિરામ ચાલુ રાખવાના નિર્ણય પર અડગ છે.સોમવારે જમ્મુ-કશ્મીરના અરનિયા સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર્સોએ ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. અને અનેક સ્થળોએ મોર્ટારનો મારો ચલાવ્યો હતો. આ મુદ્દે જ્યારે રક્ષાપ્રધાન નિર્મલા સિતારમણને પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, અમે ગૃહપ્રધાનના નિર્ણયની સાથે છીએ. પાકિસ્તાનની અવળચંડાઈ છતાં ભારત તરફથી કશ્મીરમાં યુદ્ધવિરામ યથાવત રાખવામાં આવશે.

આ પહેલા જમ્મુ-કશ્મીરના રામગઢ ક્ષેત્રના સામ્બા જિલ્લાના નારાયણપુર વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકોએ હળવા અને મધ્યમ હથિયારો અને મોર્ટારથી ભારતની BSFની અગ્રિમ હરોળની ચોકીઓને ટોર્ગેટ બનાવી હતી. જો કે તેના થોડા કલાકો પહેલાં પાકિસ્તાને ભારતીય BSFને ફાયરિંગ રોકવા અપીલ કરી હતી. કારણકે BSFની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનના એક સૈનિકનું મોત થયું હતું.

આપને જણાવી દઈએ કે, રમઝાન મહિનામાં ભારતે એક તરફી યુદ્ધવિરામની જાહેરાત કરી છે. જેના લીધે પાકિસ્તાન તેની ‘નાપાક’ હરકતો વધારી રહ્યું છે. ગતરોજ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર  15મેથી આજ દિન સુધીમાં ભારત તરફથી કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં BSFના બે જવાન શહીદ શયા છે.