શ્રીનગરમાં સચિવાલય પર લહેરાયો દેશનો તિરંગો, ડોવાલ લોકો સાથે ભોજન લેતાં નજરે ચડ્યાં

શ્રીનગર- છેલ્લાં બે દિવસની કવાયત બાદ અંતે જમ્મુકશ્મીરમાંથી આર્ટિકલ 370ને દૂર કરવાની સાથે રાજ્યના પુનર્ગઠન બિલને પણ આજે રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જમ્મુ-કશ્મીર પરથી આર્ટિકલ 370ના પ્રોવિઝન્સને હટાવવાની જાહેરાત કરી દીધી આ સાથે જ 70 વર્ષ બાદ જમ્મુકશ્મીર એક કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો હોવાની ઐતિહાસિક ઘડી નિર્મિત થઈ ચૂકી છે.

આ ક્ષણની પ્રતિપૂર્તિ કરતાં શ્રીનગરમાં સચિવાલય પર રાજ્યના ધ્વજની સાથે શાનથી તિરંગો લહેરાવવામાં આવ્યો. તિરંગો હવામાં લહેરાતો નજરે જોઈ શકાય છે. આ ઐતિહાસિક ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી રાજ્યનું પોતાનું અલગ બંધારણ અને ધ્વજ હતો પરંતુ હવે રાજ્ય એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે જેની વિધાનસભા પણ હશે.

રાષ્ટ્રપતિએ આર્ટિકલ 370 હટાવવાના સંકલ્પને રાજ્યસભા અને લોકસભામાં મંજૂરી મળ્યા બાદ રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાના પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા. એક અધિકારિક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના બંધારણની કલમ 370ના કલમ 3ના સાથે પઠિત આર્ટિકલ 370ના ક્લોઝ 1 દ્વારા રાષ્ટ્રપતિને મળેલા અધિકારના આધાર પર રાષ્ટ્રપતિ સંસદની રિકમન્ડેશન પર આ જાહેરાત કરતા આજે એટલે કે, 6 ઓગસ્ટ 2019થી આર્ટિકલ 370ની તમામ કલમો પ્રભાવમાં નહીં રહે.

મહત્વનું છે કે, મંગળવારે લોકસભાએ જમ્મુ-કશ્મીરને વિશેષ દરજ્જો સંબંધિ આર્ટિકલ 370ની મોટાભાગની જોગવાઈઓને સમાપ્ત કરવાના પ્રસ્તાવ સંબંધિ સંકલ્પને પાસ કરી દીધો છે. જમ્મુ-કશ્મીર પુનર્ગઠન બીલ પાસ કરી દેવામાં આવ્યું. આ બિલના પક્ષમાં 367 અને વિરોધમાં 67 મત પડ્યા હતાં. રાજ્યસભાએ આ સંકલ્પને સોમવારે જ પાસ કરી દીધો હતો.

બીજીતરફ જ્મુકશ્મીરમાં સ્થિતિ સામાન્ય હોવાને લઇને એનએસએ અજીત ડોવલની તસવીરો સામે આવી હતી જેણે દેશભરના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેઓ આ તસવીરોમાં સામાન્ય નાગરિકોની સાથે વાતચીત કરતાં અને તેમની સાથે ભોજન લેતાં નજરે પડી રહ્યાં હતાં.