ક્યા કાયદા હેઠળ ફારુક અબ્દુલ્લાને કસ્ટડીમાં લેવાયા?

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાને સોમવારે PSA (સાર્વજનિક સુરક્ષા અધિનિયમ)  હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યાં છે. જે સ્થળ પર અબ્દુલ્લાને રાખવામાં આવશે તેને એક આદેશ દ્વારા અસ્થાયી જેલ જાહેર કરી દેવામાં આવી છે. પીએસએ હેઠળ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કેસ દાખલ થયા વગર બે વર્ષ સુધી કસ્ટડીમાં રાખી શકાય છે. 

જ્યારથી ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ અધિકાર આપતી કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ હટાવી ત્યારથી શ્રીનગરથી લોકસભા સાંસદ ફારુક અબ્દુલ્લા 5 ઓગસ્ટથી તેમના ઘરમાં નજરકેદ છે. હાલમાં જ નેશનલ કોન્ફરન્સના સાંસદોને ફારુક અને તેમના પુત્ર ઉમર અબ્દુલ્લાને મળવાની મંજૂરી અપાઈ હતી. પરંતુ એ પ્રતિબંધ સાથે કે તેઓ મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરી શકશે નહીં. ન્યાયાધીશ સંજીવકુમારે સાંસદો જસ્ટિસ હસનૈન મસૂદી અને અકબર લોન દ્વારા દાખલ કરાયેલી અરજી બાદ મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર અને જમ્મુ કાશ્મીર પ્રશાસનને નેશનલ કોન્ફરન્સ પ્રમુખની નજરકેદ પર નોટિસ પણ પાઠવી છે.