શ્રીનગરમાં પથ્થરમારામાં ઘાયલ થયેલા લશ્કરી જવાનનું નિધન

શ્રીનગર – દક્ષિણ કશ્મીરના અનંતનાગમાં યુવકોએ કરેલા પથ્થરમારાના હુમલામાં ગઈ કાલે ઘાયલ થયેલા લશ્કરના એક જવાનનું આજે નિધન થયું છે.

22 વર્ષીય સૈનિક રાજેન્દ્ર સિંહ બુંગલા ક્વિક રીએક્શન ટીમના સભ્ય હતા. આ ટીમ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન કાફલાને સુરક્ષા પૂરી પાડવાની ફરજ બચાવતી હતી.

કાફલો ગુરુવારે સાંજે લગભગ 6 વાગ્યાના સુમારે અનંતનાગ બાયપાસ ટ્રાઈ-જંક્શન પાસેથી પસાર થતો હતો ત્યારે અમુક યુવકોએ વાહન પર પથ્થરમારો કર્યો હતો. જેમાં રાજેન્દ્ર સિંહને માથામાં ઈજા થઈ હતી. એમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ એમને મિલિટરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ આજે ત્યાં એમનું નિધન થયું હતું.

રાજેન્દ્ર સિંહ ઉત્તરાખંડના પિઠોરાગઢના બડેના ગામના રહેવાસી હતા. તેઓ 2016માં લશ્કરમાં જોડાયા હતા. એમના પરિવારમાં માતા-પિતા છે.