જયપુરમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ સ્થિતિ વણસી, ઈન્ટરનેટ સેવા બંધ

જયપુર: જયપુરમાં સાત વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મ મામલે લોકોનો જયપુરમાં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. અહીં લોકોની ભીડે એક પોલીસ સ્ટેશનને ઘેરીને પ્રદર્શન કર્યું અને કેટલાક વાહનોમાં તોડફોડ કરી, ત્યારબાદથી આ વિસ્તારમાં તણાવભરી સ્થિતિ વ્યાપી ગઈ છે. પોલીસે જણાવ્યું કે, અપરાધી પોતાને બાળકીના પિતાનો મિત્ર હોવાનું કહીને માસૂમ બાળકીને પોતાની સાથે લઈ ગયો અને તેમની સાથે દુષ્કર્મ આચર્યુ. ત્યારબાદ આ નરાધમે બાળકીને રસ્તા પર લોહીલુહાણ હાલતમાં છોડીને ભાગી ગયો. સોમવારે રાતે બાળકીના પરિજનો માસૂમને કનવતિયા હોસ્પિટલમાં લઈ ગયાં. જ્યાંથી તેમને જેકે લોન હોસ્પિટલમાં ખસેડવામાં આવી.

બાળકીને સર્જિકલ આઈસીયુમાં ભરતી કરવામાં આવી છે. મેડિકલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બાળકીને માથાના ભાગે ઈજાના નિશાન છે. તેમ જ ખાનગીભાગમાં પણ ઈજાના નિશાન છે, જોકે હાલ તેની હાલત સ્થિર છે. ઘટના પછી મંગળવારે સવારે જયપુરના શાસ્ત્રી નગર વિસ્તારમાં તણાવ વધી ગયો હતો કારણ કે, પ્રદર્શનકારીઓએ સોમવારે રાતે અનેક કારના કાચ તોડી નાખ્યા હતાં.

3 જુલાઈ સવારે 10 વાગ્યા સુધી જયપુર શહેરના 13 વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓને બંધ રાખવામાં આવી હતી. પોસ્કો એક્ટ હેઠળ મામલો ફાઈલ કરવામાં આવ્યો છે અને પોલીસ આરોપીની તપાસ કરી રહી છે. આરોપીની પકડવાની તાત્કાલિક માગણીને લઈને કન્વતિયા હોસ્પિટલની નજીક મોટી સંખ્યામાં ભીડ જમા થઈ ગઈ હતી.

પરિવહન પ્રધાન પ્રતાપ સિંહ ખાચરિયાવાસ મંગળવારે બાળકીની ખબર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતાં. તેમણે કહ્યું આરોપીને પકડવા અમે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. આ પ્રકારનો અપરાધ કરનારા લોકોનું આપણાં સમાજમાં કોઈ સ્થાન નથી.