ચંદ્રયાન-2 બાદ હવે મિશન “ગગનયાનની” તૈયારીઓમાં જોડાયું ISRO, વાંચો વધુ વિગતો…

નવી દિલ્હીઃ ઈસરોએ ચંદ્રયાન-2 લેન્ડર વિક્રમને શોધી કાઢ્યું છે. લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર દેખાયું છે. તો મિશન ચંદ્રયાન-2 બાદ ઈસરો અને ભારતીય વાયુસેના મળીને મિશન મંગળયાનની તૈયારીમાં જોડાઈ ગયા છે. ચંદ્રયાન-2 બાદ ગગનયાન ભારતનું બીજું મહત્વકાંક્ષી મિશન છે. આમાં ત્રણ ભારતીયોને 7 દિવસ માટે અંતરિક્ષમાં મોકલવામાં આવશે.

આ મિશન માટે ભારતીય વાયુસેનાની તૈયારીઓનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે આના માટે 10 ટેસ્ટ પાયલટોની પણ પસંદગી કરી લેવામાં આવી છે. આ સાથે જ વાયુસેનાએ અંતરિક્ષયાત્રીઓની પસંદગીને પ્રથમ પડાવ પૂર્ણ કરી લીધો છે. ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા એન ટ્વીટમાં આની જાણકારી આપવામાં આવી છે.

ગગનયાન માટે પસંદગી કરાયેલા તમામ પાયલટોની ઈન્સ્ટીટ્યૂટ ઓફ એરોસ્પેસ મેડિસિનમાં મેડિકલ તપાસ કરાવવામાં આવી છે. આ તપાસમાં બધા જ પાસ થઈ ગયા છે. આપને જણાવી દઈએ કે ભારતીય વાયુસેના દ્વારા શરુઆતમાં કુલ 25 પાયલટોની પસંદગી કરવામાં આવી છે. પરંતુ આમાંથી માત્ર 10 પાયલટો જ ક્વોલિફાઈ થયા છે.
ઈસરો અને ભારતીય વાયુસેના આ પ્રોજેક્ટ અંતર્ગત 2022માં 3 ભારતીયોને અંતરિક્ષમાં મોકલવામાં આવશે. ઈસરો આ તમામ પાયલટોને ટ્રેનિંગ આપશે. જો કે તાજેતરમાં જ વડાપ્રધાન મોદીની રશિયા યાત્રા બાદ જાણકારી મળી છે કે, રશિયા પણ પાયલટોની ટ્રેનિંગમાં ભારતની મદદ કરી શકે છે.