સમલૈંગિકતા હવે અપરાધ નહીં ગણાય, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

નવી દિલ્હી- સેક્શન 377 અંતર્ગત સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચૂકાદો આપ્યો છે. જે મુજબ પુખ્ત વયની વ્યક્તિઓ વચ્ચે સમલૈંગિક સંબંધ હવે અપરાધ ગણાશે નહીં.ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાના નેતૃત્વવાળી સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક બેન્ચે ચૂકાદો આપતા જણાવ્યું કે, બે પુખ્ત વયની વ્યક્તિઓ વચ્ચે પરસ્પરની સહમતિથી બનેલા સમલૈંગિક સંબંધને અપરાધ ગણાવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે કલમ 377ને મનસ્વી ગણાવી હતી.

સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય ખંડપીઠે સમલૈંગિકતાને અપરાધ માનતી ભારતીય દંડ સંહિતાની (IPC) કલમ 377 પર સુનાવણી કરી હતી. ચૂકાદો આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, LGBT કોમ્યુનિટિને પણ સમાન અધિકાર આાપવામાં આવેલા છે.

આ અંગે જૂનો ચૂકાદો યોગ્ય નહતો. સજાતિયતા એ કોઈ ગુનો નથી. કોઈ પોતાની ઓળખથી અલગ નથી. તેથી કલમ 377નો બચાવ કરી શકાય નહીં. સજાતિય સંબંધ ધરાવનારાઓને પણ સમાન અધિકાર મળવા જોઈએ. અને સમયની સાથે કાયદો પણ બદલાવો જોઈએ. તેમ સુપ્રીમ કોર્ટે તેના ચૂકાદામાં જણાવ્યું હતું.