2022માં થશે ભારતનું સમાનવ અવકાશ મિશનઃ રશિયામાં અપાશે તાલીમ

દુબઈ : ભારતના અવકાશમાં પ્રથમ માનવ મિશન માટે પસંદ થયેલા ગગનયાત્રી આગામી વર્ષે રશિયાના ગાગારિન કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લેવાનું શરૂ કરશે. રશિયા અવકાશ એજન્સીના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતના મહત્વાકાંક્ષી ગગનયાન માનવયુક્ત મિશન માટે ભારતીય અવકાશ યાત્રીઓને રશિયા ટ્રેનિંગ આપશે.

આ મિશનના 2022માં લૉન્ચ થવાની આશા છે. આ મિશન હેઠળ ત્રણ ભારતીય અવકાશમાં જશે. ભારતીય સુરક્ષા દળોના પાયલોટમાંથી આ અવકાશ યાત્રીઓની પસંદગી કરવામાં આવશે. કરવામાં આવશે. હજુ ભારતના અવકાશમાં પ્રથમ માનવ મિશન ગગનયાન માટે 12 સંભવિત યાત્રીઓની પસંદગી કરવામાં આવી છે.

વડાપ્રધાન મોદીએ 4 સપ્ટેમ્બરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સાથે સંયુક્ત પ્રેસ વાર્તામાં કહ્યું હતું કે રશિયા ભારતીય અંતરિક્ષ યાત્રીઓની ટ્રેનિંગમાં મદદ કરશે. રશિયા અંતરિક્ષ એજન્સી રોસ્કોમોસ અંતરિક્ષ એજન્સીના ભાગ ગ્લાવકોસમોસના પ્રમુખ દમિત્રી લોસ્કુતોવ એ જણાવ્યું કે, ગગનયાન માટે અંતરિક્ષ યાત્રીઓની ટ્રેનિંગ આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થશે. તેમણે કહ્યું કે ભારત પોતાના માનવ મિશન કાર્યક્રમને વિકસિત કરવા માંગે છે . ગત જુલાઇમાં રોસ્કોસમોસે જાહેરાત કરી હતી કે ગ્લાવકોસમોસ અને ઇસરો માટે માનવ અંતરિક્ષ ફ્લાઇટ સેન્ટરે મિશનમાં મદદ માટે કરાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગગનયાન ભારતનો પહેલો માનવ અંતરિક્ષ મશીન છે જેને ઈસરો દ્વારા ડિસેમ્બર 2021 સુધી લોન્ચ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. અતંરિક્ષ યાત્રીઓને પૃથ્વીની કક્ષામાં મોકલવામાં આવશે અને યાનમાં પૂરતું ઓક્સિજન અને ગગનયાનના યાત્રીઓ માટે જરૂરી અન્ય સામાન સાથે કેપ્સૂલ જોડાયેલું હશે. પહેલા ગગનયાન યાત્રીઓ માટે મહત્તમ વય મર્યાદા 30 વર્ષ રાખવામાં આવી હતી પણ હવે તેને 41 વર્ષ કરી દેવાઈ છે.