કોરોનાસંકટઃ ગરીબોને બચાવવા ભારત, વિશ્વબેન્ક વચ્ચે કરાર

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ (કોવિડ-19) જાગતિક મહાબીમારીએ સર્જેલા સંકટને કારણે મુસીબતમાં આવી ગયેલા ભારતના ગરીબ અને નિર્બળ લોકોને મદદરૂપ થવા, એમનું રક્ષણ કરવા માટે ભારત સરકારે વર્લ્ડ બેન્ક સાથે 40 કરોડ ડોલરનો એક કરાર કર્યો છે. આ કરાર પર ભારત સરકાર વતી આર્થિક બાબતોના વિભાગના અધિક સચિવ ડો. સી.એસ. મોહાપાત્ર અને વિશ્વ બેન્ક વતી કાર્યવાહક કન્ટ્રી ડાયરેક્ટર (ભારત) સુમિલા ગુલ્યાનીએ હસ્તાક્ષર કર્યા છે.

વિશ્વ બેન્કે સહાયતા માટે હાથ ધરેલી બે-ચરણની શ્રેણીમાં આ બીજું ચરણ છે. પહેલા ચરણમાં ગયા મે મહિનામાં 75 કરોડ ડોલર મંજૂર કરવામાં આવ્યા હતા. હવે બીજા ચરણમાં 40 કરોડ ડોલરની ક્રેડિટ વર્લ્ડ બેન્કની પેટા-સંસ્થા ઈન્ટરનેશનલ ડેવેલપમેન્ટ એસોસિએશન તરફથી આપવામાં આવી છે.