અયોધ્યામાં વિવાદિત જગ્યા પર નમાઝ પઢવાની અરજી ફગાવાઈ

નવી દિલ્હીઃ અયોધ્યામાં વિવાદિત સ્થળ પર નમાઝ પઢવાની મંજૂરી માંગવા સાથે જોડાયેલી અરજીને ઈલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે ફગાવી દીધી છે. તો આ સાથે જ કોર્ટે અરજી દાખલ કરનારા સંગઠન અલ-રહમાનને પાંચ લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે સાથે જ એ પણ જણાવ્યું કે આ પ્રકારની અરજીઓ કોર્ટનો સમય બરબાદ કરવા અને સમાજમાં નફરત ફેલાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે પહેલા અલ-રહેમાન નામના સંગઠને અયોધ્યામાં વિવાદિત સ્થળ પર મુસ્લિમોને આપવામાં આવેલી જગ્યા પર નમાજ પઢવાની મંજૂરી માંગી હતી. સંગઠને દાવો કર્યો હતો કે વિવાદિત સ્થળ પર સ્થિત રામ મંદિર પર હિંદુઓને પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આવામાં મુસ્લિમોને નમાજ પઢવાની પણ મંજૂરી આપવામાં આવે. અરજીમાં 2010 અયોધ્યા મામલે હાઈકોર્ટના નિર્ણયમાં મુસ્લિમ પક્ષકારોને મળેલી જમીનનો પણ હવાલો આપવામાં આવ્યો છે.

કોર્ટે અલ-રહેમાન સંગઠનની અરજીમાં કરવામાં આવેલા તમામ દાવાઓને ફગાવી દીધા છે. કોર્ટે સંગઠનને ફટકાર લગાવતા તેના પર પાંચ લાખનો દંડ લગાવ્યો અને કોર્ટનો સમય બરબાદ કરવા બદલ તેની આકરી ટીપ્પણી કરવામાં આવી છે. અલ-રહેમાન સંગઠન ઉત્તર પ્રદેશના રાયબરેલીથી રજિસ્ટર્ડ છે. સંગઠન ઈસ્લામનો પ્રચાર-પ્રસાર કરે છે.