પાકિસ્તાને જમ્મુ-કશ્મીરમાં કરેલા તોપમારામાં પાંચ નાગરિકોનાં મરણ

શ્રીનગર – જમ્મુ અને કશ્મીર રાજ્યના પૂંચ જિલ્લાના બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાને તોપમાંથી મોટા પાયે ગોળાઓ ફેંકીને કરેલા હુમલામાં પાંચ નાગરિકોનાં મરણ નિપજ્યા છે અને બીજા બે જણ ઘાયલ થયા છે.

મૃત્યુ પામેલાઓ એક જ પરિવારના સભ્યો છે. એમાં બે બાળકો (સગા ભાઈઓ)નો સમાવેશ થાય છે.

આજે સવારે સાત વાગ્યાથી પાકિસ્તાને શરૂ કરેલો તોપમારો બપોરે પણ ચાલુ હતો.

પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે ઈજાગ્રસ્તોને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાકિસ્તાને આ વર્ષમાં 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ગોળીબાર અને બોમ્બમારો, તોપગોળાઓ દ્વારા હુમલાઓ કરીને યુદ્ધવિરામની શરતોનો 351 વખત ભંગ કર્યો છે.