કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે આજે શપથ લેશે કુમારસ્વામી

બેંગાલુરુ- કર્ણાટકમાં રાજકીય ડ્રામાનો અંત આવ્યો છે અને જનતા દળ સેક્યુલરના (JDS) વડા એચ.ડી. કુમારસ્વામી આજે સાંજે 4:30 કલાકે રાજ્યના મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરાવલ, કેરળના સીએમ પિનારાઈ વિજયન ઉપરાંત અનેક મોટા નેતાઓ હાજર રહેશે.શપથ ગ્રહણ પહેલાં કુમારસ્વામીએ જણાવ્યું હતું કે, ‘અમારી પાર્ટીને જનતાનો સ્પષ્ટ જનાદેશ અને આશીર્વાદ તો નથી મળ્યા, પરંતુ ઈશ્વરની કૃપા અને માતા-પિતાના આશીર્વાદથી મને વધુ એકવાર રાજ્યની જનતાની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે’.

કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે શપથ લેવાના એક દિવસ પહેલા JDS નેતા એચ.ડી. કુમારસ્વામીએ હિન્દૂ મંદિરે જઈને કોંગ્રેસ-જનતા દળ સેક્યુલર ગઠબંધનની સરકારની સફળતા માટે પ્રાર્થના કરી હતી. આ અગાઉ કુમારસ્વામી નવી દિલ્હી ગયા હતા, જ્યાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે ગઠબંધન સરકાર અંગે ચર્ચા કરી હતી.