ગુજરાતના વજુભાઈ વાળાની પાસે છે કર્ણાટકની ચાવી, કરશે આખરી નિર્ણય

બેંગાલુરુ– કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ત્રિશંકુ વિધાનસભા થાય તેવા પરિણામ આવ્યાં છે. કોંગેસ અને જેડીએસે બન્ને ગઠબંધન રચી સરકાર રચશે તેવો નિર્ણય કર્યો છે, તો ભાજપે પણ સરકાર રચવાની કવાયત તેજ કરી છે. જો કે છેલ્લો નિર્ણય ગુજરાતના ભાજપના અગ્રણી અને સીનીયર નેતા હાલ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા લેશે, કે સરકાર રચવા કોને આમંત્રણ આપવું.વજુભાઈ વાળા ગુજરાતમાંથી ભાજપના અગ્રણી નેતાઓમાંના એક છે. ખાસ વાત એ છે કે તેમણે વર્ષ 2001માં મોદી માટે પોતાની બેઠક છોડી હતી, ત્યારે તેઓ પહેલીવાર ચૂંટણી લડ્યા હતા.રાજકોટના બિઝમેનના પુત્ર વજુભાઈ સ્કૂલ સમયથી જ આરએસએસ સાથે જોડાયેલા છે. 26 વર્ષની ઉમરે તેમણે કાયદો અને વિજ્ઞાનનું શિક્ષણ મેળવ્યું અને જનસંઘ સાથે જોડાયા હતા, તેઓ કેટલાય વર્ષો સુધી જનસંઘમાં સક્રિય રહ્યાં અને પછી તેઓ ભાજપમાં આવ્યાં હતાં.કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી, આથી કોંગ્રેસ, જેડીએસ અને ભાજપ દ્વારા તડજોડ શરૂ થયું છે. કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાએ કહ્યું હતું કે હજુ સુધી કોઈને આમંત્રણ આપવામાં આવ્યું નથી. પરિણામ આવી જાય પછી રાજભવન આમંત્રણ આપશે.