લોકો સરકારથી ડરવા લાગે તો તે લોકશાહી નથી તાનાશાહી છે: પૂર્વ CJI દીપક મિશ્રા

નવી દિલ્હી- ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે જો લોકો સરકારથી ડરવા લાગે તો સમજી જવું જોઈએ કે આ લોકતંત્ર નહીં તાનાશાહી છે. તેની સાથે જ તેઓએ કહ્યું કે, આપણે એક સભ્ય સમાજમાં રહીએ છીએ અને સભ્યતાને આગળ વધારતા રહેવી જોઈએ. ન્યાય, સમાનતા અને સ્વાતંત્રતા એક કાયદા હેઠળ ચાલનારી સોસાયટીનું મહત્વપૂર્ણ અંગ છે. તેની સાથો સાથ જ સામાજિક ફેરફાર પણ થાય છે, પરંતુ ન્યાયનું કામ પણ સમાજમાં ભાઈચારો પણ કાયમ રાખે છે.

દીપક મિશ્રાએ વધુમાં કહ્યું કે, એક સારો સમાજ સિવિલ લિબર્ટી વગર શક્ય નથી. હું હંમેશા યુવાઓને કહું છું કે તેમને બંધારણ ભણવું જોઈએ એન તે મુજબ જીવન જીવવાનો પ્રયાસ પણ કરવો જોઈએ.

અભિવ્યક્તિની સ્વતંત્રતા પર બોલતા જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે, વિચારોની આઝાદીથી આદાન-પ્રદાન કરવું ખૂબ જ જરૂરી છે, તે સૌથી સારી ભેટ પણ છે. જ્યારે પણ તમે બળજબરીથી પોતાના મનનો ન્યાય મેળવવાનો પ્રયાસ કરો છો તો વાસ્તવિક્તામાં તેનો ખરો અર્થ બરબાદ કરી દે છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે અમેરિકાએ પણ પોતાની આઝાદી હિંસાથી પ્રાપ્ત કરી હતી પરંતુ ભારતે અહિંસાના માર્ગે અંગ્રેજોને પરત જવા માટે મજબૂર કરી દીધા.