30 હજાર મુસ્લિમબંધુઓને અંદાજે 1500 કરોડનો ચૂનો લગાવી ફરાર થઈ ગયો…

બેગ્લુરુ-  ઈસ્લામિક બેંકના નામે 30 હજાર જેટલા મુસ્લિમોને ચૂનો ચોપડનાર મોહમ્મદ મન્સૂર ખાન લગભગ 1500 કરોડની છેતરપિંડી આચરીને દુબઈ ભાગી ગયો છે. તેણે લોકોને તગડું રિટર્ન આપવાનું વચન આપીને પોન્ઝી સ્કીમ ચલાવી હતી. મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ મન્સૂર ખાને 2006માં આઈ મોનેટરી એડવાઈઝરી (IMA) નામથી બિઝનેસની શરૂઆત કરી. અને રોકાણકારોને કહ્યું હતું કે આ સંસ્થા બુલિયનમાં રોકાણ કરશે અને રોકાણકારોને 7થી 8 ટકા રિટર્ન આપશે.

મહત્વનું છે કે, ઈસ્લામ ધર્મમાં વ્યાજના રૂપિયાને અનૈતિક અને ઈસ્લામ વિરોધી ગણવામાં આવે છે. આ માન્યતાને તોડવા માટે મન્સૂરે ધર્મનું કાર્ડ ફેંક્યું અને રોકાણકારોને ‘બિઝનેસ પાર્ટનર’નો દરજ્જો આપ્યો. સાથે જ ભરોસો અપાવ્યો કે, 50 હજાર રૂપિયાના રોકાણ પર તેમને ત્રિમાસિક, છમાસિક કે વાર્ષિક સમયગાળા દરમિયાન રિટર્ન આપવામાં આવશે. આ રીતે મન્સૂર મુસ્લિમોમાં ‘વ્યાજ હરામ છે’ તેવી ધારણા તોડવામાં સફળ રહ્યો.

મોલવીઓ અને મુસ્લિમ નેતા પાસે કરાવ્યો પ્રચાર

પોતાની સ્કીમને સામાન્ય મુસ્લિમો સુધી પહોંચાડવા માટે તેણે સ્થાનિક મૌલવીઓ અને નેતાઓની મદદ લીધી હતી. જાહેરમાં મન્સૂર અને તેના કર્મચારીઓ હંમેશા સાધારણ કપડાંમાં દેખાતા હતા. લાંબી દાઢી રાખતા અને ઓફિસમાં જ નમાઝ પઢતા હતા. તેઓ નિયમિત રીતે મદરેસા અને મસ્જિદોમાં દાન કરતા હતા. રોકાણ કરનારા દરેક વ્યક્તિને કુરાન ભેટમાં અપાતી હતી. શરૂઆતમાં રોકાણને બદલે રિટર્ન આવતા અને મોટા ચેક રોકાણકારોને આપવામાં આવતા હતા. જેથી તેની યોજના પ્રચાર વધ્યો.

IMAમાં 5 લાખ રૂપિયાનું રોકાણ કરનારા નાવિદે જણાવ્યું કે, મન્સૂર ખાને મુસલમાનોની ધાર્મિક લાગણીઓ મારફતે તેમના સુધી પહોંચવાનો રસ્તો બનાવ્યો. જો કે, રોકાણકારોને 2017થી જ મન્સૂરની આ રમતનો અંદાજ આવવા લાગ્યો હતો. દરેક પોન્ઝી સ્કીમની જેમ આમાં રિટર્ન 9 ટકાથી ઘટીને 5 ટકા અને 2018 આવતાં-આવતાં તો 3 ટકા થઈ ગયું. આ વર્ષે ફેબ્રુઆરીમાં વળતર ઘટીને 1 ટકા જ આવ્યું ત્યારે રોકાણકારોની ધીરજ ખૂટી. મે સુધીમાં તો 1 ટકો રિટર્ન પણ ના આવ્યું. રોકાણકારોને મે મહિનામાં જાણ થઈ કે IMAની ઓફિસ જ બંધ થઈ ગઈ છે.

મન્સૂરે પહેલા કહ્યું કે, ઈદના કારણે ઓફિસ બંધ હતી પરંતુ જ્યારે સતત વિડ્રોઅલ રિક્વેસ્ટ આવવા લાગી તો તે અંડરગ્રાઉન્ડ થઈ ગયો. કર્ણાટક પોલીસે SITની ટીમ બનાવી છે અને આ મામલે તપાસ ચાલી રહી છે. મહત્વનું છે કે, મન્સૂર ખાને 10 જૂને બેંગલુરુ પોલીસને એક ઓડિયો ક્લિપ મોકલીને અધિકારીઓ અને નેતાઓ પર હેરાનગતિનો આરોપ લગાવ્યો હતો.