હૂડા કમિટીએ કોંગ્રેસને સાફ જણાવ્યું, આતંકી સંગઠનો પર એકતરફી એક્શન લેવા પડે

નવી દિલ્હી– વર્તમાન લોકસભા ચૂંટણીમાં મુખ્ય મુદ્દો આતંકવાદ અને પાકિસ્તાન રહ્યો છે. સત્તાધારી પક્ષ ભાજપે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને ન તો માત્ર પોતાની પીઠ થપથપાવી છે, પરંતુ વિરોધી પક્ષ કોંગ્રેસ પર સુરક્ષા મામલે નબળી નીતિ રાખવાનો પણ આરોપ લગાવી રહી છે. આ તમામ મુદ્દા વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કોંગ્રેસે જે કમિટીની રચના કરી હતી, તેમનો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતે પાકિસ્તાનના આતંકી સંગઠનો સામે એક્શન લેવા માટે તૈયાર રહેવું જોઈએ.

કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા પર રચેલ કાર્યબળના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,ભારતે પાકિસ્તાનના આતંકી સંગઠનો વિરુદ્ધ એકતરફી સીમિત સેન્ય કાર્યવાહી કરવા માટે તૈયાર રહેવું જોઈએ, કારણ કે, તે શાંતિને લઈને ખાતરી માત્ર ત્યારે આપી શકે જ્યારે તે બળના ઉપયોગ મારફતે રાષ્ટ્રીય હિતોની સુરક્ષાને લઈને પોતાની ક્ષમતા દેખાડશે.

ઉરી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક કરનારી ભારતીય સુરક્ષાદળોની ટીમની આગેવાની કરી રહેલા લેફ્ટનેન્ટ જનરલ ડી.એસ.હુડ્ડાના નેતૃત્વ વાળા કાર્યબળના રિપોર્ટને રવિવારે જાહેર કરવામાં આવ્યો.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ભારતની સેન્ય તૈયારીઓ સર્જિકલ સ્ટ્રાઈકથી લઈને યુદ્ધ સુધીના જવાબી વિકલ્પોને અનુરુપ હોવી જોઈએ, કારણ કે, ભવિષ્યના સંઘર્ષોમાં યુદ્ધની કુશળતા, ઝૂંબેશ અને રણનીતિના સ્તરો વચ્ચે અંતર ખત્મ થઈ જશે.