15 ઓગસ્ટથી ગોવામાં જાહેરમાં શરાબ પીનારાને રૂ. 2,500નો દંડ થશે

પણજી – ગોવા સરકારે જાહેરમાં શરાબ પીને ધાંધલ મચાવતા કે ગુના કરતા લોકો વિરુદ્ધ કડક વલણ અપનાવવાનું નક્કી કર્યું છે.

સરકારે હવેથી જાહેરમાં શરાબ પીને જે લોકો પકડાશે એની પાસેથી અઢી હજાર રૂપિયાનો દંડ વસુલ કરશે.

આ કાયદો આવતી 15 ઓગસ્ટથી લાગુ થશે, એમ મુખ્ય પ્રધાન મનોહર પરિકરે જણાવ્યું છે. આનો મતલબ એ કે ગોવા દરિયાકિનારા પર બેસીને શરાબ પીવાની મજા હવે લોકોને માણવા નહીં મળે. ગોવા ફરવા જનારાઓમાં આ જ મોટું આકર્ષણ રહેતું હોય છે.

સરકારે હજી સુધી આ બાબતમાં નોટિફિકેશન બહાર પાડ્યું નથી, પરંતુ પરિકરે કહ્યું છે કે નોટિફિકેશન ઓગસ્ટ મહિનો બેસે એ પહેલાં ઈસ્યૂ કરવામાં આવશે.

પરિકરે રાજ્યમાં શરાબ-આલ્કોહોલની બોટલ્સ જ્યાં ત્યાં ફેંકતા લોકોને પણ ચેતવણી આપી દીધી છે.