દિલ્દીની આ ઓફિસમાં લોકોથી નહીં, ભૂતથી પરેશાન છે સરકારી બાબુઓ!!

નવી દિલ્હીઃ તમે ભૂતો અને આત્માઓની વાતો ચોક્કસ સાંભળી હશે પણ કદી નરી આંખે જોયા છે ખરા? સામાન્ય લોકો તો ઠીક પણ ભણેલા ગણેલા સરકારી બાબુઓ આત્માઓથી ડરે તો વાત થોડી આશ્ચર્યજનક લાગે! દિલ્હી સરકારના જાહેરાત વિભાગમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં ઓફિસમાં આત્માઓએ કબજો કરી લીધો હોવાની અફવાએ જોર પકડ્યું છે. આ અફવાથી કર્મચારી એટલા ફફડી ગયા છે કે ઓફિસ જતા ડરી રહ્યા છે. કથિત રીતે ખરાબ આત્માઓને રોકવા માટે ત્યાં ગેટ પર એક નોટીસ લગાવી દેવામાં આવી છે. મળેલી જાણકારી મુજબ આ નોટીસ ડિરેક્ટરના કહેવા પર લગાવવામાં આવી છે.

નોટીસ પર લખ્યુ ખરાબ આત્માઓને પ્રવેશની મનાઈ

દિલ્હી સરકારના જાહેરાત માટે બનાવાયેલા આ વિભાગમાં હવે એક હાસ્યાસ્પદ નોટીસ લાગેલી છે. તેના પર લખ્યું છે કે, ખરાબ આત્માઓ માટે ત્યાં નો એન્ટ્રી છે. તેને જોઈને બોલિવૂડ ફિલ્મ ‘સ્ત્રી’ની યાદ આવે છે, જેમાં ખરાબ આત્માઓને રોકવા માટે ‘ઓ સ્ત્રી કલ આના’ લખવામાં આવતું હતું.

દિલ્હીના સૂચના અને પ્રસારણ મંત્રાલય પર ખરાબ આત્માની નજર હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મળતી માહિતી મુજબ હાલમાં જ ત્યાં એક કર્મચારીનું મોત થઈ ગયું તો અન્ય એક અધિકારીને હાર્ટ એટેક આવી ચૂક્યો છે અને હાલમાં ઘણા અધિકારીઓ મેડિકલ લીવ પર છે. કર્મચારીઓનો ડર ખતમ કરવા માટે હવે ત્યાં દરવાજા પર નોટીસ ચોંટાડી દેવામાં આવી છે.

કપિલ મિશ્રાએ તાક્યું નિશાન

ખબર સામે આવ્યા બાદ બીજેપી નેતા કપિલ મિશ્રાએ કેજરીવાલ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું કે, આ છે કેજરીવાલ સરકારના માહિતી ખાતાની ઓફિસ ખોટી જાહેરાતો અને કાયદાને ખુલ્લેઆમ તોડનારા આ વિભાગમાં ડરનો માહોલ છે.