આર્મી ચીફની નિમણૂંક મામલે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલોઃ કહ્યું, ગંભીર પરિણામો આવશે

નવી દિલ્હીઃ કોંગ્રેસે આજે જનરલ બિપિન રાવતને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના રુપમાં નિયુક્ત કરવામાં આવ્યા તે મામલે ઘણા સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીએ કહ્યું છે કે સીડીએસ નિયુક્તિ પર સરકારે ખોટું પગલું ભર્યું છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું કે સરકારે સીડીએસની નિયુક્તિ પર ખોટું પગલું ભર્યું છે. સમયની સાથે આ નિર્ણયના ખોટા પરિણામો સામે આવશે.

તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, દુઃખ અને જવાબદારી સાથે હું કહી રહ્યો છું કે સીડીએસ મામલે સરકારે બહુ ખોટુ પગલું ભર્યું છે. આ નિર્ણયના ખોટા પરિણામો સમય જતા સામે આવશે. તેમણે એપણ સવાલ કર્યો કે સીડીએસની નિયુક્તિમાં કઠણાઈઓ અને અસ્પષ્ટતા શા માટે છે?

તિવારીએ ટ્વીટ કરીને એપણ સવાલ કર્યો કે રક્ષામંત્રીના મુખ્ય સૈન્ય સલાહકારનું નામાંકન કર્યા બાદ ત્રણેય સેનાઓના પ્રમુખો દ્વારા સરકારને આપવામાં આવનારી સૈન્ય ભલામણો પર શું અસર થશે? શું સીડીએસની સલાહ ત્રણેય સેનાઓના પ્રમુખોની સલાહથી વધારે મહત્વ રાખશે?

તિવારીએ કહ્યું કે, શું હવે ત્રણે સેનાઓના પ્રમુખ રક્ષા સચિવ અથવા સીડીએસના માધ્યમથી રક્ષામંત્રીને રિપોર્ટ કરશે? રક્ષા સચિવની તુલનામાં સીડીએસની શક્તિઓ શું હશે? શું રક્ષા સચિવ નિયમ 11ના સંદર્ભમાં રક્ષા મંત્રાલયના વહીવટી પ્રમુખ બનેલા રહેશે?