રાહુલ ગાંધીએ કરી લાલૂપ્રસાદ સાથે મુલાકાત, દિલ્હી AIIMSમાં ચાલી રહ્યો છે ઈલાજ

નવી દિલ્હી- કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ RJD સુપ્રીમો અને બિહારના પૂર્વ સીએમ લાલૂપ્રસાદ યાદવ સાથે દિલ્હીના AIIMSમાં મુલાકાત કરી છે. આપને જણાવી દઈએ કે, AIIMSમાં લાલૂપ્રસાદનો ઈલાજ ચાલી રહ્યો છે. રાહુલ ગાંધીએ લાલૂપ્રસાદ સાથે મુલાકાત કરી તેમની તબિયત અંગે માહિતી મેળવી હતી.આપને જણાવી દઈએ કે, લાલૂપ્રસાદ યાદવ ઘાસચારા કેસમાં દોષી પુરવાર થયા છે અને રાંચીની બિરસા મુંડા જેલમાં સજા ભોગવી રહ્યાં છે. જ્યાં તેમની તબિયત ખરાબ થતાં તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને દિલ્હી AIIMSમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં છેલ્લા એક મહિનાથી તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.

ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે લાલૂપ્રસાદની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. જ્યાં આજે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી લાલૂપ્રસાદને મળવા AIIMS પહોંચ્યા હતાં.

રાહુલ ગાંધીની લાલૂપ્રસાદ સાથેની મુલાકાતને રાજકીય રીતે ઘણી મહત્વની માનવામાં આવે છે. કારણકે, લાલૂપ્રસાદ યાદવને જ્યારે રાંચીથી દિલ્હી AIIMS શિફ્ટ કરવામાં આવ્યા ત્યારે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના સહયોગ વગર કોઈ જ ગઠબંધન શક્ય નથી.

રાહુલ ગાંધી પહેલાં કેન્દ્રીય માનવ સંસાધન રાજ્યપ્રધાન અને NDA સરકારમાં સહયોગી નેતા ઉપેન્દ્ર કુશવાહાએ પણ AIIMS જઈને લાલૂપ્રસાદ યાદવ સાથે મુલાકાત કરી અને તેમના હાલચાલ જાણ્યાં હતાં. ઉપેન્દ્ર કુશવાહાએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. આપને જણાવી દઈએ કે, ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી RLSP કેન્દ્રની NDA સરકારમાં સહયોગી પક્ષ છે.