2019 ચૂંટણી પહેલાં કોંગ્રેસે લોન્ચ કરી વેબસાઈટ, લોકો પાસે માગ્યો અભિપ્રાય

નવી દિલ્હી- 2019ની ચૂંટણીના ઘોષણા પત્ર માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા વેબસાઇટ શરુ કરવામાં આવી છે. જેના ઉપર સામાન્ય લોકો તેમના સૂચનો આપી શકશે. લોકોના સૂચનને કોંગ્રેસ પાર્ટી તેના ઘોષણા પત્રમાં સામેલ કરશે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન પી ચિદમ્બરમે કહ્યું કે, આ વેબસાઇટ પર 16 ભાષાઓમાં સૂચનો કરી શકાશે.ચિદમ્બરમે કહ્યું કે, વેબસાઇટ પર વોટ્સએપ નંબર પણ ઉપલબ્ધ રહેશે. તેના ઉપર પણ સૂચનો મોકલી શકાશે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે જેમાં 26 સદસ્યો છે. ગત એક ઓક્ટોબરથી તેના પર કામ કરવામાં આવી રહ્યું હતું. ડિસેમ્બર સુધીમાં સૂચન લેવાનું કામ પૂર્ણ કરવામાં આવશે.

કોંગ્રેસ ઘોષણા પત્ર સમિતિના પ્રમુખ પી. ચિદમ્બરમે રવિવારે જાહેરાત કરી હતી કે, પાર્ટી સોમવારે તેના ઘોષણા પત્ર અંગેની વેબસાઈટની શરુઆત કરશે. જેના ઉપર લોકો પાસેથી સૂચનો લેવામાં આવશે.

વધુમાં પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું કે, અમે આ વેબસાઈટના માધ્યમથી લોકોના સૂચનો મેળવીશું જેને આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીના ઘોષણા પત્રમાં સામેલ કરવામાં આવશે.