નાગરિકતા ખરડો આવતીકાલે રાજ્યસભામાંઃ શું કહે છે સભ્યોનું ગણિત?

નવી દિલ્હી: વિપક્ષોનો વિરોધ છતાં નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં તો સરળતાથી પાસ થઈ ગયું. એમાં કોઈ શંકા નથી કે, ભાજપની વિરાટ બહુમતને કારણે એક જ ઝાટકે બિલ લોકસભામાં પાસ થઈ ગયું. લોકસભામાં મતદાન દરમ્યાન બિલના સમર્થનમાં 311 મતો પડ્યા હતા જ્યારે વિરોધમાં માત્ર 80 મતો પડ્યા હતાં. જોકે, એ વાત અલગ છે કે, એક તરફ આ બિલ મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે 7 કલાક સુધી તીખી દલીલો ચાલતી રહી તો બીજી તરફ દેશના અનેક ભાગો અને ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોમાં બિલને લઈને ભારે વિરોધ પ્રદર્શન પણ ચાલતુ રહ્યું.

 

હવે સવાલ એ છે કે, આ બિલ લોકસભામાં તો પાસ થઈ ગયું પણ રાજ્યસભામાં શું થશે? મહત્વનું છે કે, આ બિલ રાજ્યસભામાં પારિત થયા બાદ જ તેના કાયદા સ્વરૂપે લાગુ કરી શકાશે. હાલમાં રાજ્યસભામાં વર્તમાન સંખ્યા 240ની છે. એટલે કે, બિલ પાસ કરાવવા માટે સરકારને 121 રાજ્યસભા સાંસદોનું સમર્થન મળવું જરૂરી છે.

બુધવારે એટલે કે આવતીકાલે નાગરિકતા સંશોધન બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે, સરકાર પાસે બહુમત માટે જરૂરી સભ્યો નથી. જેને લઈને તમામ પક્ષોએ પોતાના સાંસદોને વ્હિપ જાહેર કર્યું છે. બુધવારે સ્પષ્ટ થશે કે, આ બિલ કાયદાનું સ્વરૂપ લેશે કે નહીં.

રાજ્યસભાના ગણિત પર નજર કરીએ તો કુલ 245 સીટ છે જેમાં બહુમત માટે 121 સીટ હોવી જરૂરી છે. ભાજપના સમર્થન વાળી એનડીએ સરકાર પાસે 106 સીટ છે જ્યારે કોંગ્રેસના સમર્થન વાળી યુપીએ સરકાર પાસે હાલ રાજ્યસભામાં 62 સીટો છે. 44 ગેર યુપીએ એનડીએ પક્ષોના સાંસદ જે બિલના વિરોધમાં છે અને 28 ગેર યુપીએ એનડીએ પક્ષોના સાંસદ બિલના સમર્થનમાં છે. એટલે કે, કુલ 240 સીટો થાય જ્યારે 5 સીટો ખાલી પડી છે. જેમાં અસમમાં બે, બિહાર, હિમાચલ પ્રદેશ અને ઓડિશાની 1 1 સીટોનો સમાવેશ થાય છે. 12 નામિત સભ્યોમાંથી 8 ભાજપમાં જોડાઈ ગયા હતા બાકી વધ્યા 4 નામિત સભ્યોમાંથી 3 સભ્યો બિલના સમર્થનમાં છે.

સમર્થનમાં : ભાજપ 83, બીજેડી 7, જેડીયુ 6, નોમિનેટેડ  4, અકાલી  3, શિવસેના 3, AIDMK 11,  આઝાદ તથા અન્ય  11 પૂર્વોત્તરના 2 સાંસદ સામેલ નથી, જેમણે વલણ સ્પષ્ટ નથી કર્યુ. આ 2 સાંસદ વોટિંગ દરમ્યાન વોકઆઉટ કરશે તો બહુમતીનો આંકડો 120 થઈ જશે.

વિરોધમાં : કોંગ્રેસ 46, ટીએમસી 13, સપા 9, ડાબેરી 6, ડીએમકે 5, ટીઆરએસ 6, બસપા 4 અને અન્ય 21 અન્ય પક્ષોના સાંસદો ગેરહાજર રહેશે તો બહુમતીનો આંકડો ઘટી જશે.