એરસેલ મેક્સિસ કેસ: પી. ચિદમ્બરમ અને કાર્તિની ધરપકડ પર 26 નવેમ્બર સુધી રોક

નવી દિલ્હી- દિલ્હીની એક અદાલતે કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમ અને તેના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ધરપકડ પર 26 નવેમ્બર સુધી રોક લગાવી છે. અદાલતે એરસેલ મેક્સિસ મની લોન્ડરિંગ કેસમાં ચિદમ્બરમને આ રાહત આપી છે. આ કેસમાં CBI અને ED દ્વારા પી. ચિદમ્બરમ અને તેના પુત્ર કાર્તિ વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ આ મામલે આગામી 26 નવેમ્બરના રોજ કેસની વધુ સુનાવણી કરશે.આ પહેલાં કોર્ટે ગત 8 ઓક્ટોબરે થયેલી સુનાવણીમાં પી. ચિદમ્બરમ અને તેના પુત્ર કાર્તિ ચિદમ્બરમને 1 નવેમ્બર સુધી ધપરકડમાંથી રાહત આપી હતી. આજે આ કેસની સુનાવણી દરમિયાન તેમને 26 નવેમ્બર સુધી રાહત આપવામાં આવી છે.

EDએ ગત સુનાવણી દરમિયાન ચિદમ્બરમની વચગળાની જમીનનો વિરોધ કર્યો હતો. અને જણાવ્યું હતું કે, આ કેસમાં તેની ધરપકડ કરીને પૂછપરછ કરવી જોઈએ. વધુમાં EDએ જણાવ્યું કે, ચિદમ્બરમ તપાસમાં સહયોગ નથી આપી રહ્યાં, આ પરિસ્થિતિમાં જો તેને વચગાળાના જામીન આપવામાં આવશે તો તપાસમાં વધુ મુશ્કેલી ઉભી થશે.

ચિદમ્બરમે ધરપકડથી બચવા ગત 30 મેના રોજ અરજી દાખલ કરી હતી. ત્યાર બપાદથી તેને રાહત મળતી રહી છે. કોર્ટે અનેક વખત EDની ધરપકડથી ચિદમ્બરમને રાહત આપી છે. આપને જણાવી દઈએ કે, એરસેલ મેક્સિસ મની લોન્ડ્રિંગ કેસમાં EDએ 25 ઓક્ટેબરે ચિદમ્બરમ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. તેને ખોટી રીતે વિદેશી રોકાણકારોના ફંડને ડાયવર્ટ કરવના મામલામાં આરોપી બનાવવામાં આવ્યા છે.