ચિદમ્બરમના પરિવારજનો વિરુદ્ધ આવકવેરા વિભાગે આરોપનામું નોંધાવ્યું

ચેન્નાઈ – આવકવેરા વિભાગે ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં અને ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમના પત્ની નલિની, પુત્ર કાર્તિ અને પુત્રવધુ શ્રીનિધી સામે કાળા ધન વિરોધી કાયદા અંતર્ગત ચાર ચાર્જશીટ નોંધાવી છે. ચિદમ્બરમના પરિવારજનો પર આરોપ મૂકાયો છે કે એમણે એમની વિદેશી સંપત્તિની જાહેરાત કરી નથી.

આવકવેરા વિભાગે અત્રેની એક વિશેષ અદાલતમાં આ ચારેય જણ સામે બ્લેક મનીની કલમ 50 (અઘોષિત વિદેશી આવક તથા સંપત્તિ) તથા ઈમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ, 2015 અંતર્ગત આરોપનામું અથવા પ્રોસિક્યૂશન ફરિયાદ નોંધાવી છે.

નલિની, કાર્તિ અને શ્રીનિધિ પર આરોપ છે કે એમણે બ્રિટનના કેમ્બ્રિજમાં રૂ. 5.37 કરોડની સ્થાવર મિલકત, બ્રિટનમાં જ રૂ. 80 લાખની કિંમતની પ્રોપર્ટી તથા અમેરિકામાં રૂ. 3.28 કરોડની કિંમતની સંપત્તિ મેળવી છે, જે તેમણે આવકવેરા વિભાગમાં ઘોષિત કરી નથી.