સંસદના બજેટ સત્રનો પ્રારંભ, TDP સાંસદોનું સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન

નવી દિલ્હી- વર્તમાન સરકારનું અંતિમ બજેટ સત્ર આજથી શરુ થઈ રહ્યું છે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબંધોન સાથે બજેટ સત્રની શરુઆત કરવામાં આવી હતી. આ બજેટ સત્રમાં તોફાની બની રહે તેવી શક્યતા છે. તો બીજી તરફ મોદી સરકાર ચૂંટણીલક્ષી જાહેરાતો કરી શકે છે. જ્યારે વિપક્ષ રફાલ વિમાન ડીલ, ખેડૂત સાથે જોડાયેલા મુદ્દા સહિત અનેક મહત્વપૂર્ણ વિષયો પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.

સંસદનું બજેટ સત્ર 31મી જાન્યુરીથી 13મી ફેબ્રુઆરી સુધી ચાલશે. વર્તમાન સરકારનું આ અંતિમ સંસદ સત્ર હશે. નાણાપ્રધાન પીયૂષ ગોયલ આવતીકાલે એટલે કે 1લી ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. આશા રાખવામાં આવી રહી છે કે સરકાર આ બજેટમાં સમાજના વિવિધ વર્ગો માટે કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી શકે છે. આ બજેટ એવા સમયે રજુ કરવામાં આવી રહ્યું છે જ્યારે વર્તમાન ભાજપ સરકાર એપ્રિલ-મે માં યોજનારી લોકસભાની ચૂંટણી માટેની તૈયારી કરી રહ્યું છે.

બજેટ સત્રની શરૂઆત પહેલા ટીડીપી સાંદસોએ આંધ્ર પ્રદેશને વિશેષ દર્જો આપવાની માંગ સાથે સંસદ પરિસરમાં મહત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સત્ર દરમિયાન સરકાર નાગરિકતા વિધેયક, ત્રણ તલાક વિધેયક જેવા વિવાદાસ્પદ બિલ પાસ કરવાનો પ્રયાસ કરશે. આ બિલને વિપક્ષોએ ખૂબ વિરોધ કર્યો છે. નાગરિકતા બિલ પર ભાજપની સાથે રહેલા JDUએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો છે.

સરકારના એજેન્ડામાં ધ રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ(અમેન્ડમેન્ટ) બિલ 2017 પણ છે, જેના આધારે NRIને મતદાનનો અધિકાર આપવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રીય મેડિકલ કાઉન્સિલ બિલ પણ સરકારના એજેન્ડામાં છે.

નાગરિક સંશોધન બિલ રાજ્યસભામાં પાસ નથી થયું. વિપક્ષ આમાંથી બાંગ્લાદેશનું નામ હટાવવાની માંગણી કરી રહ્યું છે, જેના શરણાર્થીઓ નાગરિકતા માટે આવેદન કરવા માટે લાયક બની જશે. શિયાળું સત્રમાં આ બિલ લોકસભામાં પસાર થઈ ગયું હતું.