ફ્રીમાં ભરપેટ જમવું છે? તો એક કિલો પ્લાસ્ટીક વીણી લાવો!!

અંબિકાપુર: સમગ્ર વિશ્વ અને ખાસ કરીને આપણા દેશમાટે પ્લાસ્ટિકનો બેફામ વપરાશ એક મોટી સમસ્યા બનતી જાય છે. વડાપ્રધાન મોદીએ પણ પ્લાસ્ટિક મુક્ત ભારત કરવાનુ આહ્વવાન કર્યું છે.  પર્યાવરણને બચાવવા છતીસગઢના અંબીકાપુરે એક નવી પહેલ કરી છે આ યોજના આગામી ગાંધી જયંતી એટલે કે 2 ઓક્ટોબરથી શરુ કરવામાં આવશે. જે મુજબ એક કિલો પ્લાસ્ટીકનો કચરો વીણી લાવનાર ગરીબને વિનામૂલ્યે ભોજન નગર નિગમ કરાવશે.

આ યોજના હેઠળ એક કિલો પ્લાસ્ટિકનો કચરો લાવનારને 40 રૂપિયાની કિંમતનું ભોજન અને 500 ગ્રામ પ્લાસ્ટિકના કચરા પર 20 રૂપિયાની કિંમતનો નાસ્તો કરાવાશે. જેના માટે બસ સ્ટેન્ડ પર ગાર્બેજ કાફે તૈયાર કરવામાં આવી રહ્યું છે.

આ ગાર્બેજ કાફે નો ઉદ્દેશ કચરાને દૂર કરવાની સાથે કચરો દૂર કરવાની પદ્ધતિને સન્માન આપવાનો પણ છે. ભદ્ર સમાજમાં ગંદકી કરવી એ નિમ્ન પ્રવૃત્તિ ગણવાને બદલે ગંદકી દૂર કરનારાને જે દૃષ્ટિથી જોવામાં આવે છે એ દૃષ્ટિકોણને બદલવાનો આ પ્રયાસ છે. મહાત્મા ગાંધીએ સફઇ કામદારોને જે દરજ્જો આપેલો કંઈક એ જ રીતે હવે પ્લાસ્ટિક કચરો દૂર કરનારાને ભોજન અને આવાસ આપી તેનું જીવનસ્તર ગરિમાપૂર્ણ રીતે ઊંચું લાવવાની આ ઝુંબેશ છે. પૂરા દેશમાં ઇન્દૌર સ્વચ્છતામાં નંબરવન છે, બીજા ક્રમે છત્તીસગઢનું અંબિકાપુર છે અહીં પ્લાસ્ટિક કચરાથી એક સડક નિર્માણ પામી છે જેને નિહાળવા દેશભરમાંથી તજજ્ઞો આવે છે.

સોમવારે રજુ કરાયેલ નગર નિગમના નવા બજેટમાં આ યોજના માટે ભંડોળની જોગવાઈ કરાઈ છે. જો વધારે જરૂર પડશે તો આ યોજના માટે જનપ્રતિનિધિઓની મદદ લેવામાં આવશે. મેયર ડો. અજય ટિર્કીએ જણાવ્યું હતું કે ગાર્બેજ કેફે અંતર્ગત આ ઝૂંબેશ શરુ કરનાર અંબિકાપુર દેશનું પ્રથમ શહેર છે.

નગર નિગમ ક્ષેત્રમાં સ્વચ્છ ભારત ઝૂંબેશ હેઠળ 17 સોલિડ એન્ડ લિક્વિડ રિસોર્સ મેનેજમેન્ટ સેન્ટર બનાવવામાં આવ્યા છે. અહીં 53 પ્રકારના કચરાને એક્ઠો કરવામાં આવે છે. આ કરચાને અલગ અલગ કરીને તેની હરાજી કરવામાં આવે છે.