રાજધાની એક્સપ્રેસના બે ડબ્બા નદીના પૂલ પર છૂટા પડી ગયા; તપાસનો આદેશ અપાયો

ભૂવનશ્વર – આજે એક મોટી રેલવે દુર્ઘટના થતા રહી ગઈ. ઓડિશાના કટક શહેર નજીક કાઠજોડી નદીના પૂલ પર ભૂવનેશ્વર-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસના બે ડબ્બા છૂટા પડી ગયા હતા.

સદ્દભાગ્યે આ ઘટનામાં કોઈને પણ ઈજા થઈ નથી.

ટ્રેન આજે સવારે લગભગ 9.30 વાગ્યે ભૂવનેશ્વર સ્ટેશનેથી રવાના થયા બાદ તરત જ બ્રિજ પર ટ્રેન અચાનક અટકી ગઈ હતી. એને કારણે ટ્રેનમાં સફર કરી રહેલા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

ટ્રેનની B/3 અને B/4 બોગી છૂટી પડી ગઈ હતી. એન્જિનિયરોએ તાબડતોબ ત્યાં પહોંચી જઈને ડબ્બાઓને જોડી દીધા હતા અને ત્યારબાદ ટ્રેન એની સફર પર આગળ રવાન થઈ હતી.

ઈસ્ટ કોસ્ટ રેલવેના અધિકારીએ કહ્યું છે કે આ ઘટના માટે કોણ જવાબદાર છે એ ટૂંક સમયમાં જ નક્કી કરવામાં આવશે.

ડિવિઝનલ રેલવે મેનેજરને આ બાબતમાં તપાસ કરવા જણાવાયું છે અને એમને 48 કલાકની અંદર અહેવાલ મોકલવાનું કહેવામાં આવ્યું છે. તેથી ડબ્બા કેવી રીતે છૂટા પડી ગયા એનું કારણ ત્યારબાદ જાણવા મળશે.