કોંગ્રેસ ખેડૂતો માટે ‘મગરના આંસુ’ વહાવે છે પણ કામ કરવાનો સમય નથી: પીએમ મોદી

શાહજહાંપુર- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના શાહજહાંપુરની મુલાકાતે છે. જ્યાં તેમણે કિસાન કલ્યાણ રેલીને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ‘ખેડૂતો કોંગ્રેસને ઓળખી ગયા છે. કોંગ્રેસ ખેડૂતો માટે મગરના આંસુ વહાવે છે, પણ તેમને ખેડૂતો માટે કામ કરવાનો સમય નથી. અમને ખેડૂતો તરફથી ઘણો પ્રેમ મળ્યો. અને અમારી સરકારે ખેડૂતોને MSPનો ફાયદો આપ્યો છે’.પોતાના ભાષણમાં ખેડૂતોને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે, દેશના ખેડૂતોએ અમને આર્શીવાદ આપ્યા છે. થોડા દિવસો પહેલા શેરડીનું વાવેતર કરનારા ખેડૂતો મને મળવા દિલ્હી આવ્યા ત્યારે મેં તેમને કહ્યું હતું કે, ખૂબ જલદી શેરડી વાવતા ખેડૂતો માટે ખુશખબર સાંભળવા મળશે અને આ વાયદો નિભાવવા હું આજે શાહજહાંપુર આવ્યો છું.

વધુમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, અમારી સરકારે નિર્ણય કર્યો છે કે, દેશમાં શેરડી વાવતા ખેડૂતોને શેરડીના પડતર ખર્ચના મૂલ્ય ઉપર લગભગ 80 ટકા સીધો લાભ મળશે. ઉપરાંત ધાન, મકાઈ, દાળ અને તેલવાળા 14 પાકને સરકારી મૂલ્યમાં 200 રુપિયાથી 1800 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જે દેશના ઈતિહાસમાં ક્યારેય કરવામાં આવ્યો નથી.

વિપક્ષ પર શાબ્દિક પ્રહારો કરતાં પીએમ મોદીએ કહ્યું કે, આજે જે ખેડૂતો માટે મગરના આંસુ વહાવી રહ્યા છે તેમની પાસે પણ આ કામ કરવાની તક હતી, પરંતુ તેમની પાસે ખેડૂતો માટે કામ કરવાનો સમય નહતો.