CJI સામે મહાભિયોગ લાવી ન્યાયપાલિકામાં દખલ કરે છે વિપક્ષ: BJP

નવી દિલ્હી- ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રા સામે વિપક્ષ મહાભિયોગ લાવવા તૈયારી કરી રહ્યું છે. જોકે ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષના આ પ્રયાસને ન્યાયપાલિકામાં હસ્તક્ષેપ ગણાવ્યો છે. BJP નેતા અને સુપ્રીમ કોર્ટમાં વકીલ નલિન કોહલીએ કહ્યું કે, ‘કોંગ્રેસ પાર્ટીની આગેવાનીમાં વિપક્ષ CJI વિરુદ્ધ જે પ્રકારનો પ્રયાસ કરી રહ્યું છે તે ન્યાયપાલિકામાં ખોટો હસ્તક્ષેપ કરવા બરાબર છે’.એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં નલિન કોહલીએ જણાવ્યું કે, ન્યાયપાલિકાની કાર્યપ્રણાલી ઉપર કોઈપણ યોગ્ય કારણ વગર પ્રશ્નચિહ્ન લગાવવો ખોટી વાત છે. વિપક્ષ સુપ્રીમ કોર્ટની કાર્યપ્રણાલી ઉપર સવાલ ઉભા કરે તે યોગ્ય કહેવાય નહીં. કોઈપણ યોગ્ય કારણ વગર CJI પર મહાભિયોગ લાવવો લોકતંત્ર માટે સારી વાત નથી.

વધુમાં નલિન કોહલીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં ક્યા કેસની સુનાવણી કેવી રીતે અને ક્યારે કરવામાં આવશે તેનો પુરો અધિકાર કોર્ટ પાસે જ હોવો જોઈએ. તેમાં હસ્તક્ષેપ કરવો યોગ્ય નથી. જેને રાજકીય મુદ્દો બનાવવો જોઈએ નહીં. કારણકે જજને ખબર હોય છે કે, કોર્ટની કાર્યવાહી કેવી રીતે ચલાવવી.

મળતી માહિતી મુજબ કોંગ્રેસ પાર્ટીએ CJI વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા પ્રયાસ તેજ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદ અને આનંદ શર્મા આ અંગે અન્ય વિપક્ષો સાથે ચર્ચા કરી રહ્યા હોવાની પણ માહિતી સામે આવી છે. આપને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા જ સુપ્રીમ કોર્ટના ચાર મુખ્ય જજોએ CJI વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. ત્યારબાદ અનેક પ્રકારના સવાલો ઉભા થયા હતા.