દિગ્વિજયસિંહની જીત માટે મિર્ચીયજ્ઞ કરાવનાર બાબા વૈરાગ્યાનંદ લેશે જળસમાધિ

ભોપાલ-મધ્યપ્રદેમાં લોકસભા ચૂંટણી દરમિયાન ભોપાલ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયસિંહના સમર્થનમાં મિર્ચી યજ્ઞ કરાવીને દિગ્વિજયસિંહની જીતની ભવિષ્યવાણી કરનાર અને ન જીતે તો જીવતાં જળ સમાધિ લેવાની જાહેરાત કરનારા બાબા વૈરાગ્યાનંદે ભોપાલ કલેક્ટર પાસે જળ સમાધિ લેવાની મંજૂરી માગી છે. બાબા વૈરાગ્યાનંદે 16 જૂને બપોરે 2 વાગ્યે ને 11 મિનિટે જળ સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે.

બાબાએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, દિગ્વિજય સિંહ ભોપલના સંસદીય વિસ્તારથી પરાજીત થયા છે જેથી હું મારા સંકલ્પ પર અડગ રહીને મારા સંકલ્પને પૂર્ણ કરવા ઈચ્છુ છું. વધુમા બાબા વૈરાગ્યાનંદે લખ્યું છે કે, હું 16 જૂને બપોરે 2 વાગ્યે ને 11 મિનિટે સમાધિ લેવા ઈચ્છું છું. જેથી મારો સંકલ્પ પૂર્ણ કરી શકુ અને મને પૂર્ણ વિશ્વાસ છે કે, પ્રશાસન મારી ધાર્મિક ભાવનાઓને ધ્યાનમા રાખીને જળ સમાધિ માટે જગ્યા નક્કી કરી આપશે.

બાબા વૈરાગ્યાનંદે જાહેરાત કરી હતી કે, તેમને પૂર્ણ ભરોસો છે કે, ભોપાલ લોકસભા બેઠક પર દિગ્વિજય સિંહ જ જીતશે અને ભાજપની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની હાર નક્કી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો દિગ્વિજય સિંહ ભોપલાથી નહીં જીતે તો હું જીવતા જળ સમાધિ લઈશ.

બાબા વૈરાગ્યાનંદની સમાધિ લેવાની વાતને ભાજપે નાટક ગણાવ્યું છે. ભાજપનું કહેવું છે કે, ભોપાલના લોકો સમજદાર છે માટે કોંગ્રેસના ઉમેદવારના પ્રચારમાં આવેલા કોમ્પ્યુટર બાબા અને વૈરાગ્યાનંદ બાબાઓને વોટ મારફતે પાઠ ભણાવ્યો છે. ભાજપને મત આપીને લોકોએ સ્પષ્ટ કરી દીધું છે કે, આવા બાબઓની જાળમાં નહીં ફસાય.