રામમંદિર સુનાવણીઃ મુસ્લિમપક્ષના વકીલના 5 દિવસ સુનાવણીથી હાંજા ગગડ્યાં, તો SCએ…

નવી દિલ્હી- અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં સપ્તાહમાં 5 દિવસ સુનાવણીનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને લઈને આજરોજ ચોથા દિવસે કેસની સુનાવણી કરી રહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની બંધારણીય બેન્ચ સમક્ષ મુસ્લિમ પક્ષે કેસની સપ્તાહમાં પાંચ દિવસ સુનાવણી કરવાનો વિરોધ કર્યો હતો. રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસની સુપ્રીમ કોર્ટમાં 6 ઓગસ્ટથી દરરોજ સુનાવણી શરૂ થઈ છે.

મને કેસ છોડવા માટે મજબૂર કરાઈ રહ્યો છેઃ ધવન

મુસ્લિમ પક્ષકારોના વકીલે જણાવ્યું કે, સુનાવણી આ પ્રકારે ઉતાવળમાં ન થઈ શકે. અમારે દસ્તાવેજો ઊર્દૂ અને સંસ્કૃતમાંથી અંગ્રેજીમાં અનુવાદ કરવાનું છે અને દિવસભરની દલીલો રજૂ કર્યા બાદ તે શક્ય નથી. મને હેરાન કરાઈ રહ્યો છે. સતત સુનાવણી કરવામાં આવશે તો મારે આ કેસ છોડવા માટે મજબૂર થવું પડશે. વધુમાં ધવને કહ્યું કે, ‘કેસમાં સપ્તાહના બધા દિવસ કોર્ટમાં દોડાદોડ કરવા તેમના માટે શક્ય નહીં બને. આ પ્રથમ અપીલ છે અને આ પ્રકારે કેસની પ્રક્રિયા ઝડપી ના કરી શકાય જેથી હું તણાવમાં આવી શકું છું.’ અલ્હાબાદ હાઈકોર્ટે પણ પોતાના નિર્ણયની સુનાવણી શાંતિથી કરી હતી. તો આ અંગે CJI રંજન ગોગોઈની ખંડપીઠે કહ્યું કે, અમે તમારી ફરિયાદ સાંભળી લીધી છે અને ઝડપથી આ અંગે તમને માહિતગાર કરવામાં આવશે. તેમ જ બ્રેક જોઇએ ત્યારે ધ્યાને લેવામાં આવશે

સપ્તાહમાં ત્રણ દિવસ સુનાવણીનો નિર્ણય હતો

સુપ્રીમ કોર્ટે અયોધ્યા-બાબરી જમીન વિવાદ કેસમાં મધ્યસ્થી પેનલ રચી હતી જેનમા પ્રયાસો છતાં કેસમાં કોઈ ઉકેલ નહીં આવતાં કોર્ટે અયોધ્યા રામજન્મભૂમિ વિવાદ મામલે રચેલી મધ્યસ્થી પેનલે વિખેરતાં છઠ્ઠી ઓગસ્ટથી દરરોજ સુનાવણીનો આદેશ આપ્યો હતો. સપ્તાહમાં મંગળવાર, બુધવાર અને ગુરુવારે આ કેસની સુનાવણી થશે તેમ સુપ્રીમે જણાવ્યું હતું.

અયોધ્યા મુદ્દે અત્યાર સુધીનો ઘટનાક્રમઃ

મધ્યસ્થતા પેનલ દ્વારા મામલાનું સમાધાન કરવામાં નિષ્ફળતા મળ્યા બાદ કોર્ટમાં 6 ઓગસ્ટથી સૂનાવણી ચાલી રહી છે. જ્યાં સુધી નિવેડો ન આવે ત્યાં સુધી આ સૂનાવણી નિયમિત રીતે થતી રહેશે.

પહેલી સૂનાવણીઃ 6 ઓગસ્ટે સૂનાવણીના પ્રથમ દિવસે નિર્મોહી અખાડાએ 2.77 એકર જમીન પર પોતાનો દાવો રજૂ કર્યો હતો. તેમની દલીલ હતી કે વિવાદિત જમીન પર ઈસ. 1934થી જ મુસ્લિમો માટે પ્રવેશની મનાઈ છે.

બીજી સૂનાવણીઃ 7 ઓગસ્ટે બેંચે નિર્મોહી અખાડાને 2.77 એકર જમીન અંગેના દસ્તાવેજ રજુ કરવા માટે કહ્યું હતું . આ અંગે અખાડાએ કહ્યું હતું કે, 1982માં ત્યાં ચોરી થઈ હતી, જેમાં દસ્તાવેજ ચોરાયા હતા.

ત્રીજી સુનાવણીઃ 8 ઓગસ્ટના રોજ રામલલા વિરાજમાન માટે વકીલે જન્મસ્થલના પક્ષમાં દલીલો રજુ કરી હતી. બેંચે પુછ્યું હતું કે, આ કેસમાં પક્ષકાર જ ન હોય તેવા દેવતાના જન્મસ્થળને ન્યાય માટે ઈચ્છુક કેવી રીતે માની શકાય? આ અંગે વકીલે કહ્યું કે, હિન્દુ ધર્મમાં કોઈ સ્થળને પવિત્ર ગણવા અને પૂજા કરવા માટે મૂર્તિની જરૂર નથી. નદી અને સૂર્યની પણ પૂજા કરવામાં આવે છે.