ભાજપના નેતાની હત્યાને પગલે જમ્મુના કિશ્તવાર નગરમાં કર્ફ્યૂ

જમ્મુ – જમ્મુ અને કશ્મીર રાજ્યના જમ્મુ પ્રાંતના કિશ્તવાર નગરમાં ગઈ કાલે રાતે ભારતીય જનતા પાર્ટીના નેતા અનિલ પરિહાર અને એમના ભાઈ અજીત પરિહારની ત્રાસવાદીઓએ હત્યા કરી હતી. એને પગલે પરિહારના સમર્થકોએ હિંસક દેખાવો કરતાં સત્તાવાળાઓએ લશ્કરને બોલાવીને કિશ્તવારમાં કર્ફ્યૂ લાગુ કરી દીધો છે.

પરિહાર બંધુઓ ગઈ કાલે રાતે લગભગ 9.10 વાગ્યે એમની સ્ટેશનરીની દુકાન બંધ કરીને ઘર તરફ ચાલતા જવા નીકળ્યા હતા. તેઓ ટપ્પલ ગલી નજીક પહોંચ્યા ત્યારે બાજુની ગલીમાંથી કેટલાક અજાણ્યા શખ્સો એમની તરફ ધસી આવ્યા હતા અને એમની પર નજીકથી ગોળીબાર કર્યો હતો. બંનેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

કિશ્તવાર નગર અત્યંત સંવેદનશીલ ગણાય છે.

અનિલ પરિહાર ભાજપના જમ્મુ-કશ્મીર એકમના સચિવ હતા.