એર ઇન્ડિયા જૂનમાં ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય નવી ફ્લાઈટો શરુ કરશે

નવી દિલ્હી- સરકારી માલિકીની વિમાન કંપની એર ઈન્ડિયા (Air India) આગામી મહિનેથી નવી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ કરશે. એર ઈન્ડિયાના નિવેદન અનુસાર રજાઓ દરમિયાન પેસેન્જરોની વધતી જતી માગને પહોંચી વળવા માટે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય રૂટ પર નવી ફ્લાઈટ શરુ કરવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે, સ્પાઈસ જેટે પણ બુધવારે મંબઈને મેટ્રો અને નોન મેટ્રો શહેર સાથે જોડતી 20 નવી ડોમેસ્ટિક ફ્લાઈટ શરુ કરવાની જાહેરાત કરી છે.

1 જૂનથી દિલ્હી-દુબઈ-મુંબઈ રૂટ પર સીટોમાં કરશે વધારો

એર ઈન્ડિયાએ કહ્યું કે, તે મુંબઈ-દુબઈ-મુંબઈ રૂટ પર 1 જૂનથી સાપ્તાહિક ધોરણે 3500 વધારાની સીટો ઓફર કરશે. આ ઉપરાંત 2 જૂનથી દિલ્હી-દુબઈ-દિલ્હી રૂટ પર પણ સપ્તાહમાં 3500 વધારાની સીટો ઓફર કરશે.

આટલું હશે ભાડુ

એર ઈન્ડિયાએ તેમના નિવેદનમાં કહ્યું કે, એરલાઈન દિલ્હી અને મુંબઈમાં દુબઈની મુસાફરી માટે ઈકોનોમી ક્લાસમાં 7777 રૂપિયા (તમામ કર સાથે)ના ભાડાની ઓફર કરશે. જે હેઠળ 31 જુલાઈ 2019 સુધી મુસાફરી કરી શકાશે.

ડોમેસ્ટિક ફ્લાઈટોની સંખ્યામાં થશે વધારો

ડોમેસ્ટિક ફ્લાઈટની જો વાત કરીએ તો, એર ઈન્ડિયા 5 જૂનથી ભોપાલ-પૂણે-ભોપાલ રૂટ અને વારણસી-ચેન્નાઈ-વારાણસી રૂટ પર નવી ફ્લાઈ શરુ કરશે. દિલ્હી-ભોપાલ-દિલ્હી રૂટ પર ફ્લાઈટોની સંખ્યા પ્રતિ સપ્તાહ 14થી વધારીને 20 કરવામાં આવશે.

દિલ્હી-રાયપુર-દિલ્હી રૂટ પર સાપ્તાહિક ઉડાનોની સંખ્યા વર્તમાનમાં 7થી વધારીને 14 કરવામાં આવશે. એર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર દિલ્હી-બેગ્લુરુ-દિલ્હી, દિલ્હી-અમૃતસર-દિલ્હી, ચેન્નાઈ-અમદાવાદ-ચેન્નાઈ, અને ચેન્નાઈ-કોલકાતા-ચેન્નાઈ રૂપ પર પણ સાપ્તાહિક ફ્લાઈટોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. દિલ્હી-વડોદરા-દિલ્હી અને મુંબઈ-વિશાખાપટ્ટનમ-મુંબઈ રૂટ પર પણ સાપ્તાહિક ફ્લાઈટ સેવામાં વધારો કરાશે.