ભારતીય સીમામાં પ્રવેશવા જતા પાક.ના લડાકુ વિમાનને તોડી પડાયું

જમ્મૂ-કાશ્મીરઃ ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકના બીજા દિવસે સમાચારો સામે આવ્યા છે પાકિસ્તાન એરફોર્સના એક વિમાને આજે સવારે ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો છે. જમ્મૂ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં હવાઈ સીમાનું આ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર લડાકૂ વિમાનોએ પાકિસ્તાની વિમાનને ફરીથી પીઓકેમાં જવા માટે મજબૂર કરી દીધું છે. જો કે સેના દ્વારા હજી આ મામલે અધિકારીક પુષ્ટી કરવામાં આવી નથી. કહેવામાં આવ્યું છે કે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની આ પ્રકારની હરકતોનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. ભારતે પોતાના જેટ વિમાનોને સ્ટેન્ડબાય રાખ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાનના ત્રણ જેટ વિમાનોએ ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો હતો. પાકિસ્તાન દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે તેના વિમાનોએ ભારતના જમ્મૂ-કાશ્મીરમાં સીમા પાર કરી અને એક ભારતીય જેટને તોડી પાડ્યું.

જો કે તાજેતરમાં મળતી વિગતો અનુસાર ભારતીય સીમામાં પ્રવેશેલા પાકિસ્તાન એર ફોર્સના એફ -16 વિમાનને તોડી પાડવામાં આવ્યું છે. નૌશેરા સેક્ટરમાં એફ-16 વિમાનને તોડી પાડવામાં આવ્યું છે.

રાજૌરી સેક્ટરમાં ભારતીય પોસ્ટ પાસે પાકિસ્તાની બોમ્બ મળ્યા છે. એટલે કે પાકિસ્તાને ભારતીય સીમામાં પ્રવેશીને ભારતીય સેના પર બોમ્બ ફેંકવાની કોશીષને પણ ભારતના જાંબાઝ જવાનો દ્વારા નાકામ કરવામાં આવી છે. રાજૌરીના ડીસી રિયાઝે પુષ્ટી કરી છે કે પાકિસ્તાને ભારતીય વાયુ સીમાનું ઉલ્લંઘન કર્યું છે. તેના જેટ ફાઈટર ભારતીય સીમામાં ઘુસ્યા હતા અને ત્યાં બોમ્બ ફેંક્યા હતા. 9 લોકો જખ્મી થયા છે.

તો આ તરફ બડગામમાં ક્રેશ થયેલા મિગ-21 વિમાનને લઈને આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે આ વિમાન પાક. લડાકૂ વિમાનોની હરકતની જાણકારી પ્રાપ્ત કરવા માટે ઉડ્યું હતું અને તે સમયે દુર્ઘટનાગ્રસ્ત થયું. જો કે જમ્મૂ-કાશ્મીર પોલીસ દ્વારા કહેવાયું કે મિગ-21 ટેક્નિકલ ક્ષતીના કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું.

શ્રીનગર એરપોર્ટ નાગરિક વિમાનો માટે બંધ કરવામાં આવ્યું છે. હવે અહીંયાથી માત્ર સેનાના વિમાનો જ ઉડાન ભરશે. દેશભરના એરપોર્ટો પર પણ એલર્ટ આપવામાં આવ્યું છે.