રાફેલ વિમાન અને એસ-400 મિસાઈલથી વાયુસેના વધુ મજબૂત થશે: ધનોઆ

નવી દિલ્હી- ભારતીય વાયુસેનાના પ્રમુખ બી.એસ. ધનોઆએ કહ્યું કે, વાયુસેના કોઈ પણ સ્થિતિનો સામનો કરવા હંમેશા તૈયાર છે. વધુમાં તેમણે કહ્યું કે, વાયુસેનામાં 36 રાફેલ વિમાન અને એસ-400 મિસાઈલ પ્રણાલી આવ્યા બાદ વાયુસેના વધુ મજબૂત થશે.વિમાનોના દુર્ઘટનાગ્રસ્ત થવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને એર ચીફ માર્શલ ધનોઆએ કહ્યું કે, વાયુસેના એક એવું ક્ષેત્ર છે, જ્યાં તાકાતને નજરઅંદાજ કરી શકાય નહીં. કારણકે, શાંતિના સમયમાં વિમાનોને નુકસાન થવું એ ખર્ચાળ પ્રક્રિયા છે. એટલું જ નહીં તેના લીધે યુદ્ધના સમયે વાયુસેનાની ક્ષમતા ઘટી શકે છે.

એર ચીફ માર્શલ ધનોઆએ જણાવ્યું કે, વાયુસેનાના ક્રૂ મેમ્બર અને ટેકનિશિયનોને શ્રેષ્ઠ સંભવિત તાલીમ આપીને માનવ નબળાઈઓને ઘટાડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેથી વર્તમાન પેઢીના ફાઈટર જેટની સાથે જૂના વિમાનો અને હથિયાર પ્રણાલીઓના પડકારોને પહોંચી શકાય.

વાયુસેનાના પ્રમુખ બી.એસ. ધનોઆએ કહ્યું કે, ભરતીય વાયુસેના કોઈ પણ સ્થિતિનો સામનો કરવા હંમેશા તત્પર રહે છે. જે આપણી દેશની સુરક્ષા માટે જોખમરુપ છે. બી.એસ. ધનોઆએ કહ્યું કે, વિતેલા વર્ષોમાં દેશની વાયુસેનાની તાકાતમાં ઉત્તરોત્તર વધારો થયો છે. અને જેના લીધે વાયુસેનાએ અનેક ઉપલબ્ધિઓ પણ પ્રાપ્ત કરી છે.