ભારતીય મૂળના અભિજીત બેનરજીને અર્થશાસ્ત્રનું નોબલ પ્રાઈઝ

નવી દિલ્હી: નોબલ ફાઉન્ડેશને વર્ષ 2019 માટે અર્થશાસ્ત્રના નોબલ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત થઈ ચૂકી છે. ભારતીય મૂળના અભિજીત બેનર્જીને અર્થશાસ્ત્રમાં નોબલ પ્રાઈઝ મળ્યો છે. અર્થશાસ્ત્રનો આ નોબલ પુરસ્કાર સંયુક્ત રીતે અભિજીત બેનર્જી, એસ્થર ડુફલો અને માઈકલ ક્રેમરને મળ્યું છે. ત્રણેય અર્થશાસ્ત્રીઓએ ‘વૈશ્વિક ગરીબીને જડ-મૂળમાંથી  હટાવવા માટેના પ્રયોગ’ માટે તેમની શોધ બદલ સમ્માનિત કરવામાં આવ્યા છે. ઈકોનોમિક સાયન્સ કેટેગરી અંતર્ગત આ સમ્માન મેળવનારા અભિજીત બેનર્જી પહેલા ભારતીય મૂળના અમેરિકન નાગરિક બન્યા છે.

અભિજીત વિનાયક બેનર્જી ભારતીય મૂળના અમેરિકન અર્થશાસ્ત્રી છે. હાલમાં તે મૈસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં અર્થશાસ્ત્રના ફોર્ડ ફાઉન્ડેશન ઈન્ટરનેશનલ પ્રોફેસર છે. અભિજીત બેનર્જીની પત્ની એસ્થર ડુફલોને પણ અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મળ્યો છે. અભિજીતના રિસર્ચના કારણે ભારતમાં 50 લાખ બાળકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે.

અભિજીત બેનર્જીનો જન્મ 21 ફેબ્રુઆરી 1961માં કોલકાત્તામાં થયો હતો. તેમના માતા નિર્મલા બેનર્જી કોલકાત્તાના સેન્ટર ફોર સ્ટડીઝ ઈન સોશિયલ સાયન્સમાં ઈકોનોમિક્સના પ્રોફેસર હતાં, અને પિતા દીપક બેનર્જી કોલકાત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં પ્રોફેસર અને અર્થશાસ્ત્રના હેડઓફ ડિપાર્ટમેન્ટ રહ્યા. અભિજીત બેનર્જીએ 1981માં પ્રેસિડેન્સી કોલેજમાંથી ઈકોનોમિક્સમાં બી.એસની ડિગ્રી પ્રાપ્ત કરી અને દિલ્હીની જવાહરલાલ નેહરુ યૂનિવર્સિટીમાંથી 1983માં ઈકોનોમિક્સમાં એમ.એ. નો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ તે 1988માં પીએચડી કરવા માટે હાર્વર્ડ યૂનિવર્સિટી ગયા હતાં.

અગાઉ 9 ઓક્ટોબરે સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં અમેરિકાના જોન બી. ગુડઇનફ, ઇંગ્લેન્ડના એમ. સ્ટેનલી વિટિંઘમ અને જાપાનના અકીરા યોશિનોને સંયુક્ત રીતે રસાયણ વિજ્ઞાનનું નોબલ પ્રાઈઝ મળ્યું હતું. તે અગાઉ 7 ઓક્ટોબરના રોજ ભૌતિક શાસ્ત્ર ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપવા બદલ જેમ્સ પીબલ્સ, મિશેલ મેયર અને ડીડીએર ક્લૂલોજને ભૌતિક વિજ્ઞાનનો નોબેલ આપવામાં આવ્યો હતો.