વાયુસેનાના એ હેલિકોપ્ટરનો મામલો મિસાઈલ મિસફાયર? તપાસ અંતિમ તબક્કામાં

નવી દિલ્હી- ગત 27 ફેબ્રુઆરીએ ભારતીય વાયુ સેના દ્વારા એમના જ એમઆઈ-17 ચોપરને શૂટડાઉન કરી દેવાના અકસ્માતની તપાસ 20 દિવસમાં પૂરી થવાની છે. ત્યારબાદ તપાસના પુરાવા અને રિપોર્ટ વહેલીતકે રજૂ કરવામાં આવશે. આ અકસ્માતમાં માર્યા ગયેલા ચોપરમાંના છ વાયુસેનાના અધિકારીઓ અને મેદાન પરની એક વ્યક્તિના મૃત્યુ માટે જવાબદાર લોકોને વાયુ સેનાના 1950 કાયદા અનુસાર સજા કરવામાં આવશે.

સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું કે 27 ફેબ્રુઆરીએ વાયુ સેનાના શ્રીનગર એરબેઝ પરથી ઈઝરાયલી બનાવટની સ્પાયડર મિસાઈલ લૉન્ચ કરવામાં આવી હતી એ હકીકત સામે કોઈ શંકા નથી. વાયુ સેના સાથે મામલો સંકળાયેલો હોવાથી તપાસમાં થોડો વિલંબ થયો છે.

27 ફેબ્રુઆરીએ સવારે 10થી 10-30ની વચ્ચે ઓલ.ઓ.સી.માં આવેલી પાકિસ્તાની વાયુ સેનાને અટકાવવા ભારતીય વાયુ સેનાના 10 જવાનો મોકલવામાં આવ્યા હતા. આ તબક્કે ભારત-પાક વચ્ચે તંગ સ્થિતિ હતી અને સેનાને હાઈ એલર્ટ પર રહેવાનો આદેશ હતો. ઉપરાંત વાયુમાર્ગે થતી ઘૂસણખોરી અટકાવવા જમીન પરથી છોડી શકાય એવી મિસાઈલ્સને ત્વરિત વપરાશમાં રાખવાની સૂચના હતી. આ જ સમયે શ્રીનગર એરબેઝના ડિફેન્સ રડાર પર ધીમી ગતિએ ઊડતું એરક્રાફ્ટ દેખાયું હતું. આઈ.એફ.એફ. (આઈડેન્ટિફિકેશન, ફ્રેન્ડ ઓર ફૉ) ટ્રાન્સપોન્ડર સિસ્ટમ (એરક્રાફ્ટ મિત્ર છે કે શત્રુ એ જાણવાની સિસ્ટમ) દ્વારા એરક્રાફ્ટની ઓળખ થઈ શકી ન હતી. એ જાણવામાં નથી આવ્યું કે આ સિસ્ટમ મિસાઈલ લૉન્ચ થઈ ત્યારે સ્વીચ ઓફ હતી કે કાર્યરત નહોતી. એરબેઝના ઈન્ચાર્જને એમના વિસ્તારમાં આપણા એરક્રાફ્ટ ઊડવાના છે એવી માહિતી આપવામાં આવી હતી કે નહીં વગેરે જેવા તમામ પાસાંઓ કૉર્ટ ઓફ ઈન્ક્વાયરી દ્વારા તપાસમાં લેવાઈ રહ્યાં છે.