મુંબઈ: રહેણાંક વિસ્તારમાં ચાર્ટર્ડ પ્લેન ક્રેશ, પાંચ લોકોના મોત

મુંબઈ- મુંબઈના રહેણાંક વિસ્તાર ઘાટકોપરના સર્વોદય નગરમાં આજે બપોરે એક ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયાની પ્રાથમિક માહિતી મળી છે. મૃતકોમાં પ્લેનનો પાયલટ, ત્રણ પેસેન્જર અને એક ત્યાંથી પસાર થઈ રહેલા નાગરિકનો પણ સમાવેશ થાય છે.આ વિમાન મુંબઈના ઘાટકોપરના સર્વોદય નગરમાં ક્રેશ થયું છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ગાડીઓએ દુર્ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરુ કરી દીધી છે. મળતી માહિતી મુજબ આ વિમાન આજે બપોરે 1:15 કલાકે ક્રેશ થયું હતું. આ એરક્રાફ્ટનું મોડેલ VT-UPZ, કિંગ એર C90 છે.

પહેલા એવી માહિતી સામે આવી હતી કે, આ ચાર્ટર્ડ પ્લેન ઉત્તરપ્રદેશ સરકારનું છે. જોકે બાદમાં ઉત્તરપ્રદેશની રાજ્ય સરકારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, આ પ્લેન યુપી સરકારનું નથી. ઉત્તરપ્રદેશ સરકારે જણાવ્યું કે, તેમણે આ વિમાન મુંબઈની એક કંપની UY Aviation Pvt Ltd. ને વેચ્યું હતું.

ઉત્તરપ્રદેશ સરકારે તેમના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, આ વિમાન વર્ષ 2014 સુધી ઉત્તરપ્રદેશ રાજ્ય સરકાર પાસે હતું. પરંતુ વર્ષ 2014માં જ આ વિમાન મુંબઈની કંપની UY Aviation Pvt Ltd. ને વેચ્યું હતું. મળતી માહિતી મુજબ આ વિમાન જુહૂ એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું ત્યારે પ્લેન ક્રેશ થયું અને ક્રેશ થતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ હતી.