મંદિરમાં શોર્ટ-સર્કિટથી આગ લાગીઃ બે જણનાં મરણ

મુંબઈઃ શહેરના કાંદિવલી (વેસ્ટ) ઉપનગરના ચારકોપ વિસ્તારમાં આવેલા સાઈબાબા મંદિરમાં આજે વહેલી સવારે આગ લાગતા બે જણના મરણ નિપજ્યા હતા. દુર્ઘટનામાં એક અન્ય જણ ગંભીર રીતે દાઝી ગયો છે. દુર્ઘટના વહેલી સવારે લગભગ 4.5 વાગ્યે બની હતી. આ મંદિર બંદર પાખાડી રોડ પર આવેલું છે.

આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. જાણ કરાયા બાદ અગ્નિશામક દળના જવાનો તરત જ ત્યાં પહોંચી ગયા હતા અને 4.40 વાગ્યે આગને બુઝાવી દીધી હતી. આગ લેવલ-1 (મામુલી) પ્રકારની હતી, એમ ફાયર બ્રિગેડના એક અધિકારીએ કહ્યું છે. આગમાં ત્રણ જણ દાઝી ગયા હતા. એમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં બે જણને મૃત લાવેલા ઘોષિત કરવામાં આવ્યા હતા. મૃતકોને સુભાષ ખોડે તથા યુવરાજ પવાર તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે. બંનેની વય 25 વર્ષની હતી. અન્ય ઈજાગ્રસ્તનું નામ મન્નુ રાધેશ્યામ ગુપ્તા છે. એને વધુ સારવાર માટે સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.