હવે છત્રપતિ શિવાજીના વંશજ ઉદયન રાજે પણ ભાજપમાં જોડાયા

મુંબઈઃ નેશનલીસ્ટ કોંગ્રેસ પાર્ટીના કદ્દાવર નેતા, છત્રપતિ શિવાજીના વંશજ અને સંસદસભ્ય ઉદયન રાજે ભોસલે આજે ભાજપમાં જોડાઈ ગયા છે. આ અવસર પર ભાજપા અધ્યક્ષ અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે કહ્યું કે કપરા સમયમાં સ્વદેશ અને સ્વધર્મ માટે ખૂબ મોટું ઔપચારિક આંદોલન શરુ કરવા અને સંઘર્ષ કરીને સ્વરાજની સ્થાપના કરનારા છત્રપતિ શિવાજીના વંશજ ઉદયન રાજે આજે ભાજપમાં જોડાયા છે. પાર્ટી અધ્યક્ષે કહ્યું કે તે ભાજપાના કરોડો કાર્યકર્તાઓ દ્વારા તેમનું હાર્દિક સ્વાગત કરે છે. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રની જનતા વર્ષ 2014 થી જ મોદીજી સાથે મનથી જોડાયેલી છે અને વર્ષ 2019 માં આની પુનરાવૃત્તિ ત્યાં થઈ. મને પૂર્ણ વિશ્વાસ છે કે આવખતે વિધાનસભામાં ભાજપ પહેલા કરતા પણ મજબૂત બનીને ઉભરી આવશે અને આપણું ગઠબંધન ત્રણ ચતુર્થાંશ કરતા વધારે બહુમતથી સરકાર બનાવશે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે રાજ્યના કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ એક પછી એક એમ ભાજપમાં જોડાઇ રહયા છે.